૮૦મા સ્વાતંત્ર પર્વની ૨૦૨૬ ની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે અમરેલીમાં થવાની છે. ૧૫ મી ઓગસ્ટના ગરીમામય કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે અમરેલી શહેર રોશનીથી શણગારવામાં આવ્યું છે. ગઈકાલે રાત્રે શણગારેલા શહેરને જોવા માટે શહેરીજનો ઉમટી પડ્યા હતા.
અમરેલી જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી વિવિધ વિભાગોની સ્થાનિક ટીમ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ત્રિવિધ સ્તરે ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. દેશભક્તિનો અનેરો માહોલ અને અમરેલીના માર્ગ ઉપર વિવિધ રોશની અને સજાવટથી શહેરીજનોમાં પણ ઉમંગ ઉત્સાહ છે ગઈકાલે વિવિધ સુસજજ અને શણગારેલા પોઇન્ટ પર સંગીતના તાલે યુવાઓએ રાસ રમીને આ ઉજવણીમાં સહભાગી થઈ તા.૧૪ અને ૧૫મી ઓગસ્ટના કાર્યક્રમમાં જોડાવા ઉમંગ દર્શાવ્યો હતો.
દિવસ રાત શહેરમાં સફાઈ કાર્ય ચાલુ છે તેમજ રાષ્ટ્રભક્તિને અનુરૂપ પેઇન્ટિંગ, પોલીસ વિભાગ દ્વારા જરૂરી સંકલન, બંદોબસ્ત સાથે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ વિવિધ વિભાગોના સચિવશ્રીઓ અધિકારીઓ પદાધિકારીઓ સહિત સૌની ગરિમામય ઉપસ્થિતિ વચ્ચે યોજાનારા રાજ્યકક્ષાના કાર્યક્રમોને લઈને સ્થાનિક ટીમ છેલ્લા કેટલાક દિવસોથી પુરુષાર્થ કરી રહી છે જેને આવકારી લોકો પણ આ ઉત્સાહમાં જોડાયા છે.
અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણીના ઉપલક્ષમાં તા.૧૪મી ઓગસ્ટ સાંજે ૬ કલાકથી ફોરવર્ડ સ્કૂલના ગ્રાઉન્ડમાં અમરેલીની ગાથા રજૂ કરતો ભવ્ય મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ ૨૦૦થી વધુ કલાકારો દ્વારા પ્રસ્તુત થવાનો છે જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં શહેર- જિલ્લાના નાગરિકોને જોડાવા વહીવટી તંત્રએ આમંત્રણ આપ્યું છે. એ જ રીતે તા. ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ સવારે ૯ કલાક થી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજ વંદન અને અન્ય ગરીમામય કાર્યક્રમો ઉપરાંત સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત થવાની છે. આ કાર્યક્રમમાં પણ શહેર જિલ્લાના નાગરિકોને સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.


















Recent Comments