૧૫ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલી ખાતે ભવ્ય રીતે યોજાનાર છે, જે અમરેલી જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ધ્વજ વંદન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ પોલીસ વિભાગની વિવિધ પ્રસ્તુતિ રહેશે.
૧૫ ઓગસ્ટે સવારે ૯.૦૦ વાગ્યે પોલીસ પરેડ મેદાન ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તિરંગો ફરકાવશે.
આ અવસરે જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ દ્વારા અમરેલી જિલ્લાના તમામ નાગરિકોને આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે, અને હાજર રહેવા માટે ગ્રાઉન્ડ ખાતે સવારે ૮:૦૦ વાગ્યા સુધીમાં પોતાનું સ્થાન મેળવી લેવા વિનંતી કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને સલામી સાથે જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ થશે, જે અમરેલી માટે યાદગાર બની રહેશે.
સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ, ૧૪ ઑગસ્ટના રોજ પણ અમરેલીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સાંજે ૪:૩૦ થી ૫:૩૦ કલાક દરમિયાન નવી નૂતન સ્કૂલ ખાતે ‘એટહોમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યપાલશ્રી જિલ્લાના વિશિષ્ટ નાગરિકો અને અગ્રણીઓને શુભેચ્છાઓ પાઠવશે. જેમાં મુખ્યમંત્રીશ્રી પણ વિશેષરૂપે સહભાગી થશે.
આ ઉપરાંત, સાંજે ૬:૩૦ થી ૮:૩૦ દરમિયાન કમાણી ફોરવર્ડ સ્કૂલના મેદાન ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, મંત્રીમંડળના સભ્યો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ અવસરે જિલ્લા સ્તરે સમાજ સેવા, કલા, સાહિત્ય સહિતના ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવશે. સાથોસાથ જિલ્લાના આશરે રૂ. ૪૦૩ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવશે.
ધ્વજવંદન બાદ અમરેલી જિલ્લાના ઈતિહાસ અને સંસ્કૃતિ પર આધારિત વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે, જેમાં જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ દ્વારા અમરેલી જિલ્લાના તમામ નાગરિકોને ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.


















Recent Comments