ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત “CIDSCON-૨૦૨૬ : ૧૬મી એન્યુઅલ કોન્ફરન્સ ઓન ક્લિનિકલ ઈન્ફેક્શિયસ ડિસીઝીસ સોસાયટી કોન્ફરન્સ”ના પૂર્વાર્ધરૂપે આજે પોસ્ટ ગ્રેજ્યુએટ રેસિડેન્ટ ડોક્ટરો અને યુવા તબીબો માટે વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર વર્કશોપ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ્સમાં ચેપી રોગોના સચોટ નિદાન, સારવારની આધુનિક પદ્ધતિઓ અને એન્ટીબાયોટિક દવાઓના યોગ્ય ઉપયોગ અંગે યુવા તબીબોને અનુભવી અને પ્રતિષ્ઠિત વિષય-નિષ્ણાતો દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા.
૧. યોગ્ય નિદાન અને એન્ટીબાયોટિક્સનો મર્યાદિત ઉપયોગ અનિવાર્ય: ડૉ. હર્ષ તોષનીવાલ
CIDSCONના કો-ઓર્ગેનાઇઝિંગ ચેરમેન તથા શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ એન્ડ રિસર્ચ-કલોલના પ્રોફેસર અને વિભાગીય વડા ડૉ. હર્ષ તોષનીવાલે જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સ વર્તમાન સમયમાં ખૂબ જ પ્રાસંગિક છે, કારણ કે તે તાવ અને વિવિધ પ્રકારના ઇન્ફેક્શન પર કેન્દ્રિત છે. વર્કશોપ્સના માધ્યમથી યુવા ડોકટરોને એન્ટીબાયોટિક દવાઓના બિનજરૂરી ઉપયોગને અટકાવવા, તેના કાર્યક્ષમ ઉપયોગને પ્રોત્સાહન આપવા તથા યોગ્ય નિદાનને પ્રાથમિકતા આપવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, વાયરલ ફીવર અથવા સીઝનલ ફીવર જેવા કિસ્સાઓમાં એન્ટીબાયોટિક્સ આપવાનું ટાળવું જોઈએ, જેથી ભવિષ્યની પેઢી માટે આ દવાઓની અસરકારકતા જાળવી શકાય. તબીબોએ દર્દીની સંપૂર્ણ હિસ્ટ્રી લેવી, શારીરિક તપાસ કરવી અને લેબોરેટરી રિપોર્ટ્સનો યોગ્ય ઉપયોગ કરીને સચોટ નિદાન કરવું જોઈએ. આ વર્કશોપ્સના આયોજનથી CIDSCOની મુખ્ય કોન્ફરન્સ માટેનું યોગ્ય વાતાવરણ ઊભું થયું છે.
૨. ફંગલ ઇન્ફેક્શન અને એન્ટીફંગલ રેઝિસ્ટન્સનો વધતો પડકાર: ડૉ. એમ. આર. શિવપ્રકાશ (માઈકોલોજી નિષ્ણાત)
વર્કશોપમાં યુવા ડોકટરોને માર્ગદર્શન પૂરું પાડવા ફેકલ્ટી તરીકે નિષ્ણાત ડૉ. એમ. આર. શિવપ્રકાશ ઉપસ્થિત રહ્યા હતા. માઇકોલોજીના ક્ષેત્રમાં કાર્યરત ડૉ. એમ. આર. શિવપ્રકાશે દેશમાં ઝડપથી વધી રહેલા ફંગલ ઇન્ફેક્શન અને એન્ટીફંગલ દવાઓ સામે વધી રહેલા રેઝિસ્ટન્સ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, એન્ટીબેક્ટેરિયલ રેઝિસ્ટન્સ વિશે લોકો માહિતગાર છે, પરંતુ ફંગલ ઇન્ફેક્શન અને તેની સારવારની આંટીઘૂંટીઓ સમજવી અત્યંત જરૂરી છે. મગજના ઇન્ફેક્શન જેવી ગંભીર સ્થિતિઓમાં કઈ એન્ટીફંગલ દવાઓ અસરકારક રહેશે તેની પાયાની સમજ હોવી ખૂબ જ જરૂરી છે.
તેમણે દાદર (ડર્માટોફાઇટોસિસ/રિંગવર્મ)નું ઉદાહરણ આપતા જણાવ્યું કે, એક દાયકા પહેલાં આ ઇન્ફેક્શન સામાન્ય મલમથી મટી જતું હતું, પરંતુ હવે તે અત્યંત જીદ્દી બની ગયું છે અને લાંબી સારવાર બાદ પણ દર્દીના આખા શરીરમાં તેમજ માથાના ભાગ સુધી ફેલાઈ જાય છે. હવે તે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં અને મનુષ્યોથી મનુષ્યોમાં ખરજવાની જેમ ઝડપથી ફેલાય છે. આ ઇન્ફેક્શન હવે માત્ર ગ્રામીણ કે ગરીબ વર્ગ પૂરતું મર્યાદિત નથી, પરંતુ શહેરોમાં અને ઉચ્ચ સ્વચ્છતા ધરાવતા લોકોમાં પણ જોવા મળે છે.
તેમણે યુવા ડોક્ટરોને યોગ્ય પદ્ધતિ દ્વારા સચોટ નિદાન કરવા અને ફંગલ દવાઓની ઝેરી અસર તેમજ ફાર્માકોકીનેટિક્સ સમજવા અનુરોધ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, એન્ટીફંગલ સ્ટીવર્ડશિપ પ્રોગ્રામને એન્ટીબેક્ટેરિયલ સ્ટીવર્ડશિપથી સંપૂર્ણપણે અલગ રાખવો જોઈએ, જેથી ફંગલ રેઝિસ્ટન્સને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય.
૩. વૈજ્ઞાનિક શ્રેષ્ઠતા અને ઇન્ફેક્શન કંટ્રોલનો દેશવ્યાપી સંદેશ: ડૉ. અંજલી શેટ્ટી (પ્રતિષ્ઠિત માઈક્રોબાયોલોજીસ્ટ)
યુવા ડોકટરોને માર્ગદર્શન પૂરું પાડવા મુંબઈથી પધારેલા પ્રતિષ્ઠિત માઈક્રોબાયોલોજીસ્ટ ડૉ. અંજલી શેટ્ટીએ જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સના માધ્યમથી ઇન્ફેક્શન કંટ્રોલ, માઇક્રોબાયોલોજી અને ચેપી રોગો અંગેનો જાગૃતિ સંદેશ સમગ્ર દેશમાં ફેલાશે. આજના સત્રો અત્યંત માહિતીપ્રદ રહ્યા હતા અને મોટી સંખ્યામાં તબીબોએ હાજરી આપી હતી.
૪. સહભાગી તબીબોનો સકારાત્મક પ્રતિભાવ: ડૉ. ચિંતન જાદવ
વર્કશોપમાં સહભાગી થયેલા ડૉ. ચિંતન જાદવે જણાવ્યું હતું કે, આ પ્રકારની વર્કશોપ્સ યુવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરોને ક્લિનિકલ પ્રેક્ટિસમાં રોજિંદા પડકારોનો સામનો કરવા અને દર્દીઓની વધુ ગુણવત્તાયુક્ત સારવાર માટે અત્યંત ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે.
આયોજિત થયેલા વિવિધ મહત્વપૂર્ણ વર્કશોપ્સ:
- ID ૩૬૦: માસ્ટરિંગ ધ બેઝિક્સ: ચેપી રોગોના મૂળભૂત સિદ્ધાંતો, વિગતવાર કેસ હિસ્ટ્રી લેખન અને પાયાની તપાસની પદ્ધતિઓ પર માર્ગદર્શન.
- માઇક્રોબાયોલોજી ૩૬૦: ડાયગ્નોસ્ટિક્સ, સ્ટીવર્ડશિપ એન્ડ ઇન્ફેક્શન કંટ્રોલ: લેબોરેટરી નિદાન, દવાનો મર્યાદિત અને સચોટ ઉપયોગ અને હોસ્પિટલમાં ઇન્ફેક્શન કંટ્રોલની પદ્ધતિઓ.
- ધ ઝીરો ડિફેન્સ ચેલેન્જ: ID ઇન ધ ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝ્ડ: ડાયાબિટીસ, કિડની ફેલ્યોર કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટવાળા નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓની જટિલ સારવાર અંગેનું વિશેષ માર્ગદર્શન.
- AI એન્ડ ટેકનોલોજી ઇન ID પ્રેક્ટિસ: ચેપી રોગોના નિદાન અને સારવારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ.
- ID ઇશ્યુઝ ઇન સર્જિકલ પ્રેક્ટિસ: સર્જરી દરમિયાન અને ત્યારબાદ દર્દીઓને ઇન્ફેક્શનથી બચાવવા માટે તેમજ એન્ટીબાયોટિક્સના યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન.


















Recent Comments