ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના કુલપતિશ્રી પ્રો. ડૉ. સી. કે. ટીંબડિયાના માર્ગદર્શન હેઠળ અને કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીના નેતૃત્વમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. અમરેલી ખાતે વિઝન ફોર વાઇલ્ડ લાઈફ અને ફ્યુચર ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતી, દેશી વારસાગત બિયારણો તેમજ જંગલી વનસ્પતિના સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે ‘દેશી અને જંગલી બીજ પ્રદર્શન’ નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનમાં ડૉ. રમેશભાઈ દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નવી પેઢીને વિલુપ્ત થઈ રહેલી દેશી પાકોની જાતો તથા જંગલી વારસાગત બિયારણોના જતન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતીના મહત્વથી અવગત કરવામાં આવ્યા હતા.
આ પ્રદર્શનના મુખ્ય આકર્ષણ તરીકે અનાજ, કઠોળ, શાકભાજી, તેલીબિયાં તેમજ વિવિધ ઔષધીય ગુણો ધરાવતી જંગલી વનસ્પતિઓના ૧૦૦થી પણ વધુ પ્રકારના દેશી અને દુર્લભ બિયારણો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને બિયારણ બેંક અને તેના સંરક્ષણ અંગે ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી, જેમાં પ્રાકૃતિક ખેતીમાં વપરાશ થતાં પરંપરાગત બિયારણોના ઉપયોગથી થતા વિવિધ ફાયદાઓ વિશે વિગતવાર સમજણ આપવામાં આવી હતી.
આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી ડૉ. એસ. પી. દેશમુખે જણાવ્યું હતું કે, દેશી બિયારણો એ આપણી કૃષિ સંસ્કૃતિ અને પર્યાવરણીય સંતુલનનો ખરો આધાર છે. આ પ્રકારના પ્રદર્શનો યોજવાથી વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ભાવી પેઢીમાં સ્વદેશી બિયારણો પ્રત્યે જાગૃતિ આવશે અને તેનાથી રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના અભિયાનને એક નવું બળ મળશે.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. કે. વી. મશાલિયા તથા ખેતી અધિકારી હરદીપ વળિયા દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું. આ બીજ પ્રદર્શન કાર્યક્રમમાં સંસ્થાના વિવિધ અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, સ્થાનિક કૃષિપ્રેમીઓ તેમજ ૭૦ થી વધુ ઉત્સાહી વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ કોલેજ ઓફ નેટરલ ફાર્મિંગની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.















Recent Comments