અમરેલી

અમરેલી સ્થિત કામનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ‘આશીર્વાદના દીવા’ જિલ્લાકક્ષાના ભવ્ય કાર્યક્રમનું સફળ આયોજન સંપન્ન

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં ૨૫ વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યમાં તા. ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’નું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આજરોજ વડાપ્રધાનશ્રીનો જન્મદિન છે તે નિમિત્તે અમરેલી સ્થિત કામનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ‘આશીર્વાદના દીવા’ જિલ્લાકક્ષાના ભવ્ય કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા સહિતના મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે તેમના નિરામય આરોગ્ય, દિર્ઘાયુ અને રાષ્ટ્રની સુખાકારી માટે પ્રાર્થના સહ શુભેચ્છાઓ પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા અને ઉપસ્થિત સૌને ભાવસભર સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસના અનેક કાર્યો સિદ્ધ થયા છે. ગરીબોને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકા મકાન સહિતની સુવિધાઓ મળી છે.

તેમણે ઉમેર્યું કે, આઝાદી બાદ પ્રથમ વખત આપણને સશક્ત અને મજબૂત નતૃત્વ મળ્યું છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારત-૨૦૪૭ના સોનેરી સપનાને સાકાર કરવા માટે તેજ ગતિથી વિકાસના પંથે આગળ ધપી રહ્યો છે.

આશીર્વાદના દીવા’ મહોત્સવ અંતર્ગત અમરેલીના ઐતિહાસિક કામનાથ મહાદેવ મંદિરને મનમોહક અને સુગંધિત ફૂલોની સજાવટથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. આ સાથે જ મંદિરના વિશાળ પટાંગણમાં જુદી જુદી જગ્યાએ હજારો દીવાઓ પ્રજ્વલ્લિત કરવામાં આવ્યા હતા, સમગ્ર પરિસર ભક્તિના પવિત્ર પ્રકાશમાં પ્રકાશમય બન્યું હતું. આ સુંદરતામાં અભિવૃદ્ધિ કરવા માટે મંદિર પ્રાંગણમાં આકર્ષક અને ભવ્ય રંગોળીઓનું પણ વિશેષ સુશોભન પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઋષિગણો દ્વારા ઓમકાર નાદ અને શાસ્ત્રોક્ત રીતે મંત્રોચ્ચારનું પણ ઉચ્ચારણ કરવામાં આવતા સમગ્ર માહોલ ભક્તિસભર બન્યો હતો.

કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે, રાષ્ટ્રના વિકાસમાં વડાપ્રધાનશ્રીએ તેમના સેવાકાળના ૨૫ વર્ષ દરમિયાન રજા લીધા વિના સતત અને અવિરત પરિશ્રમ કર્યો છે. રાષ્ટ્ર નેતાની આ છબી જ તેમની મહાનતાનો પરિચય કરાવે છે. તેમના નેતૃત્વમાં દેશ વિકાસના અનેક કાર્યો સાકાર કરીને તેજ ગતિથી સતત આગળ ધપી રહ્યો છે, છેવાડાના નાગરિકોની જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ આવી રહ્યો છે.

આ મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે મંદિર પરિસર ખાતે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં કલાવૃંદોએ શિવ તાંડવ અને વંદનાની ભાવપૂર્ણ નૃત્ય પ્રસ્તુતી કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. હજારો દીવડાઓ, શંખનાદ, ઢોલ નગારા અને ઝાલરના ઘંટારવ અને નાદ સાથે ભગવાન કામનાથ મહાદેવની દિવ્ય મહાઆરતી યોજાઈ હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા, જિલ્લાના હોદ્દેદારશ્રી અતુલભાઈ કાનાણી, અન્ય હોદ્દેદારશ્રીઓ, નાગરિક બેંકના ચેરમેન અને સહકારી આગેવાન શ્રી પી.પી.સોજીત્રા, જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, સુપર ન્યુમરરરી આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી હર્ષિતા ગોયલ, સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, શહેરના આગેવાનો, મહાનુભાવો અને બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

Related Posts