ભાવનગર

ભાવનગર ઝોનના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની નગરપાલિકાઓમાં કૂતરાં કરડવા સામે શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો યોજાયા

પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓ ધવલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાઓ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ભાવનગર ઝોનના ભાવનગર જિલ્લાની ૬ નગરપાલિકાઓ, અમરેલી જિલ્લાની ૧૦ નગરપાલિકાઓ, ગીર સોમનાથ જિલ્લાની ૫ નગરપાલિકાઓ અને જુનાગઢ જિલ્લાની ૭ નગરપાલિકાઓના હદ વિસ્તારમાં આવતી તમામ સરકારી, અર્ધસરકારી, ગ્રાન્ટેડ તથા ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને કૂતરાનાં કરડવાથી બચવા માટેની સમજણ આપવા માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.  

ભાવનગર ઝોન હેઠળની ૨૮ નગરપાલિકાઓ દ્વારા જાહેર સ્વાસ્થ્ય અને સુરક્ષાના હિતમાં એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. આ પહેલ ‘એનિમલ બર્થ કંટ્રોલ (ડોગ) રૂલ્સ, ૨૦૨૩’ની અસરકારક અમલવારીને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરવામાં આવી છે.  નામદાર સર્વોચ્ચ અદાલત અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત સરકાર તરફથી મળેલ સૂચના અને એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડીયા, ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર કૂતરા કરડવાની ઘટનાઓને રોકવા અંગેના જાગૃતિ કાર્યક્રમો શાળાઓમાં યોજવા આવશ્યક છે. 

નિર્દેશોના અસરકારક પાલનરૂપે શાળાના આચાર્યશ્રી, શાળાના શિક્ષકશ્રી તથા નગરપાલિકાના સેનીટેશન શાખાના સેનેટરી ઇન્સ્પેકટરશ્રી અને તેમની ટીમ દ્વારા ભાવનગર ઝોનની કુલ ૭૨ શાળાઓમાં એક વ્યાપક જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું, જેમાં ૮૧૧૭ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા. આ જાગૃતિ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ કૂતરાં કરડવાથી બચવા અંગેની કેવી કાળજી રાખવી જોઈએ તેમજ જ્યારે કૂતરું કરડે ત્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? તેની ઉંડી સમજ આપી હતી. કૂંતરુ કરડે, છીંકે ત્યારે તે શરીરના ભાગને વહેતા પાણીમાં સતત સાબુથી સાફ કરવાથી તેના વાયરસની અસર ઓછી થાય છે. બીજા કોઈ ગામઠી ઉપચાર કર્યા વગર ડોક્ટર પાસે પહોંચીને તેની સારવાર લેવા અંગે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા. તેમજ કૂંતરું કરડવાથી બચવા માટે શુ કાળજી લેવી જોઈએ? તથા કરડ્યા પછી કે કૂતરાની નહોર વાગ્યા પછી તેની તત્કાલ ઉપચાર કરી જરૂરી રસીકરણ કરાવવા બાબતે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. 

ભાવનગર ઝોનની નગરપાલિકાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ આ જાગૃતિ અભિયાન માનવ અને પ્રાણી વચ્ચેનો સંઘર્ષ ઘટાડવા તથા જાહેર આરોગ્યને મજબૂત કરવા તરફનું એક અસરકારક પગલું છે.

Related Posts