પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, બાંગ્લાદેશના પૂર્વ સૈન્ય અધિકારી અને મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના નજીકના સહયોગી ફઝલુર રહેમાને ભારત સામે ઝેર ઓક્યું છે. તેમણે કહ્યું કે, જો ભારત પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન પર હુમલો કરે છે, તો બાંગ્લાદેશે ચીન સાથે હાથ મિલાવીને ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યો પર કબજો કરી લેવો જોઈએ.
ફઝલુર રહેમાને મંગળવારે બંગાળીમાં પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું, ‘જો ભારત પાકિસ્તાન પર હુમલો કરે છે, તો બાંગ્લાદેશે ભારતના સાત ઉત્તરપૂર્વીય રાજ્યો પર કબજો કરી લેવો જોઈએ. મને લાગે છે કે, સંયુક્ત લશ્કરી વ્યવસ્થા અંગે ચીન સાથે વાતચીત શરૂ કરવી જરૂરી છે.’
જોકે, યુનુસની વચગાળાની સરકારે મેજર જનરલ (નિવૃત્ત) એએલએમ ફઝલુર રહેમાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીથી પોતાને દૂર રાખ્યા હતા. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે શુક્રવારે એક મીડિયા નિવેદનમાં જણાવ્યું કે, રહેમાનની ટિપ્પણી સરકારની નીતિ કે સ્થિતિ દર્શાવતી નથી અને સરકાર કોઈપણ સ્વરૂપમાં આવા નિવેદનબાજીને સમર્થન આપતી નથી. અમે દરેકને વિનંતી કરીએ છીએ કે, રહેમાનના અંગત વિચારોને સરકાર સાથે જોડવામાં ન આવે. બાંગ્લાદેશ સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા, પરસ્પર આદર અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધ છે.
નોંધનીય છે કે, ડિસેમ્બર 2024 માં યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે રહેમાનને 2009 ના બાંગ્લાદેશ રાઇફલ્સ વિદ્રોહમાં થયેલી હત્યાઓની તપાસ માટે રચાયેલા રાષ્ટ્રીય સ્વતંત્ર કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા.
Recent Comments