ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન ગુજરાતમાં ચાલતા વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રીશ્રીને ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપ અને તેના પરિણામો વિશે માહિતગાર કર્યા હતા. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યભરમાં સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પોને અનુરૂપ રાજ્યમાં વીજળી બચત માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત લોકભવનના દિશા-નિર્દેશોથી સમગ્ર ગુજરાતની તમામ સરકારી કચેરીઓ, વિશ્વવિદ્યાલયો, નગરપાલિકા-મહાનગરપાલિકામાં વીજળી બચતનું અભિયાન મિશન મોડ પર ચાલી રહ્યું છે.
મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી દ્વારા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમો અંગે પણ ચર્ચા થઈ હતી. રાજ્યપાલશ્રીએ ગ્રામીણ સ્તરે સ્વચ્છતા, વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ, શિક્ષણ, સંસ્કાર, રોજગાર, આરોગ્ય, નશામુક્તિ, પશુપાલન, સરકારી યોજનાઓ, પ્રાકૃતિક કૃષિ, સામાજિક સમરસતા વગેરે માટે કરવામાં આવી રહેલી કામગીરીની વિગતો પ્રધાનમંત્રીશ્રીને આપી હતી. આ ઉપરાંત ગ્રામજનો સાથેના સીધા સંવાદ દ્વારા મળેલા સકારાત્મક પ્રતિભાવો વિશે પ્રધાનમંત્રીશ્રીને અવગત કર્યા હતા.

















Recent Comments