રાષ્ટ્રીય

લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુએ સંયુક્ત રાષ્ટ્ર વેસક દિવસના ઉદ્ઘાટન સમારોહને સંબોધન કર્યું

કેન્દ્રીય લઘુમતી બાબતો અને સંસદીય બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુએ આજે હો ચી મિન્હ સિટીમાં સંયુક્ત રાષ્ટ્ર વેસક દિવસના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કર્યો હતો, જેમાં વિયેતનામના રાષ્ટ્રપતિ શ્રી લુઓંગ કુઓંગ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી અનુરા કુમારા દિસાનાયકે, વિયેતનામ બૌદ્ધ સંઘના સંઘરાજ, થિચ ટ્રાઇ ક્વાંગ અને અન્ય નેતાઓએ પણ સંબોધન કર્યું હતું. શ્રી રિજિજુએ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વતી હાર્દિક શુભેચ્છાઓ અને સંદેશ પાઠવ્યો હતો. તેમણે નોંધ્યું કે ભગવાન બુદ્ધના કાલાતીત ઉપદેશો વર્તમાન મોટાભાગના વૈશ્વિક પડકારોનો ઉકેલ લાવવા માટે ગહન આંતરદૃષ્ટિ અને સમજ આપે છે. તેમણે ઉલ્લેખ કર્યો કે આપણા સહિયારા ગ્રહ પર વ્યક્તિગત પસંદગીઓના પ્રભાવ વિશે જાગૃતિ લાવવા માટે ભારતની મિશન લાઇફ (પર્યાવરણ માટે જીવનશૈલી)ની પહેલ બૌદ્ધ ફિલસૂફીમાં ઊંડા મૂળ ધરાવે છે. તેમણે ભગવાન બુદ્ધના અનુયાયીઓને ભારતમાં ભગવાન બુદ્ધના ઉપદેશો સાથે સંકળાયેલા પવિત્ર સ્થળોની મુલાકાત લેવા અને આ જીવંત વારસા સાથે જોડાવા માટે પણ આમંત્રણ આપ્યું હતું. શ્રી રિજિજુએ સંયુક્ત રાષ્ટ્ર વેસક દિવસની ઉજવણી સાથે હો ચી મિન્હ સિટીમાં પવિત્ર બુદ્ધ અવશેષોની હાજરીના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.

શ્રી રિજિજુએ વિયેતનામના રાષ્ટ્રપતિ શ્રી લુઓંગ કુઓંગ સાથે અલગથી મુલાકાત કરી હતી. ભારત અને વિયેતનામ વચ્ચે બહુ-પરિમાણીય સહયોગમાં સ્વસ્થ પ્રગતિને માન્યતા આપતા, બંને નેતાઓના પક્ષોએ બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સમર્થન આપ્યું હતું. શ્રી કુઓંગે ભારત સરકાર દ્વારા વિયેતનામમાં પવિત્ર બુદ્ધ અવશેષો મોકલવા બદલ પ્રશંસા કરી હતી. વિયેતનામના રાષ્ટ્રપતિ સાથે ભારતના સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી, વિયેતનામના વંશીય અને ધાર્મિક બાબતોના મંત્રી, પોલિટબ્યુરો સભ્ય અને હો ચી મિન્હ સિટીના પાર્ટી સચિવે કાશી નજીક સારનાથથી હો ચી મિન્હ સિટીના પેગોડા (મંદિર)માં લાવવામાં આવેલા પવિત્ર બુદ્ધ અવશેષોને શ્રદ્ધાંજલિ આપી હતી.

શ્રી કિરેન રિજિજુએ વિયેતનામના હો ચી મિન્હ સિટીમાં સંયુક્ત રાષ્ટ્ર વેસક દિવસની સાથે ભગવાન બુદ્ધના ભારતીય શિલ્પોના પ્રદર્શન તેમજ ભારતમાં બૌદ્ધ સ્મારકોના ડિજિટલ પુનઃસ્થાપનની પણ મુલાકાત લીધી હતી. તેમણે ભારત અને વિયેતનામમાં બૌદ્ધ કલા અને શિલ્પોના તુલનાત્મક પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. જે દર્શાવે છે કે બંને દેશો વચ્ચે દોઢ હજાર વર્ષ જૂના બૌદ્ધ જોડાણો આધ્યાત્મિકતાથી આગળ કલા અને સંસ્કૃતિના ક્ષેત્રો સુધી વિસ્તરેલા છે.

Related Posts