જામનગરમાં જાહેરાતનું બોર્ડ ઉતારવા જતાં યુવાનને કરંટ લાગતાં મોત

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા સાધના કોલોની વિસ્તારમાં રહેતો યુવાન તેની અગાસી પર જાહેરાતનું બોર્ડ ઉતારવા ગયો હતો. તે સમયે ઈલેક્ટ્રીક થાંભલાનો હાઈ વોલ્ટેજ તાર અડી જતાં, વીજ શોક લાગતા યુવાનને તાત્કાલિક ધોરણે જી. જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો.જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. મળતી વિગત મુજબ બનાવ જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા સાધના કોલોની એમ-૧૭ ફલેટ નં. (૨૬૯૭)માં રહેતો જય નીતિન ભુવા (ઉ.વ.૨૨) નામનો પટેલ યુવાન સાંજના સમયે તેના ઘરની અગાસી પર જાહેરાતનું બોર્ડ ઉતારતો હતો. ત્યારે ઈલેક્ટ્રીક થાંભલાનો હાઈવોલ્ટેજ તાર અડી જતાં, વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જવાથી મોત નિપજ્યું હતું. બનાવની જાણ મૃતકના પિતા નીતિન દ્વારા કરાતા હેકો એસ.એસ. દાતણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જાે સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments