ગુજરાત

અમદાવાદમાં પોલીસ સ્ટે.નો ઝાંપો બાળકો પર પડતાં એકનું મોત, જયારે એક ઈજાગ્રસ્ત થયું

અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ઉદઘાટન થાય પહેલાં જ એક બાળકનું મોત નિપજ્યું છે. નવા બની રહેલા પોલીસ સ્ટેશનનું નવું મકાન બની રહ્યું હતું, તેના ઝાંપાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અહીંયા બે બાળકો રમતા હતા. જેની ઉપર આ દરવાજાે પડતા એક બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદના કાલુપુર બ્રિજ પાસે નવા બની રહેલા શહેર કોટડા પોલીસ સ્ટેશનનો ગેટ આજે બપોરે અચાનક તૂટી પડ્યો હતો. ત્યાં નજીક રમી રહેલા બે બાળકો પર ગેટ પડ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને બાળકોને સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંને બાળકોને હોસ્પિટલ પહોંચાડ્યા ત્યાં સુધીમાં એક બાળકનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. જ્યારે અન્ય બાળક ગંભીર રીતે હાલમાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે.

ઘટનાની જાણ થતાં શહેરકોટડા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને સમગ્ર બાબતે તપાસ શરૂ કરી છે. શહેરકોટડા પોલીસ સ્ટેશન ઉદઘાટન માટે તૈયાર છે, ત્યારે તેના દરવાજાનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન ત્યાં પાસે રમતાં બે બાળકો સાથે દુર્ઘટના ઘટી હતી. જેમાં આ દુર્ઘટનામાં ફરહાન ઘાંચી નામના ૭ વર્ષના બાળકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે તેની સાથે રમતો ૮ વર્ષનો અશદ નિશાર શેખને ઈજા પહોંચતા શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે તેમના પરિવારજનોએ પોલીસ સામે રોષ ઠાલવ્યો હતો. ટોળેટોળા એકઠા થઈ જતા પોલીસે સામે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં દુર્ઘટનામાં મોતને ભેટેલા બાળકના પરિજનોએ વિરોધ નોંધાવ્યો હતો.

Related Posts