ગુજરાત

ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા આયોજીત : મા લીરબાઇઆઇ રથયાત્રા પાંચ જિલ્લા અને ૧૭૦ ગામડાઓમાં ફરશે

સમસ્ત મહેર સમાજ અને ઇન્ટર નેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા મા લીરબાઇ આઇ રથયાત્રા-ર૦રરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા.૧ર એપ્રિલને મંગળવારના રોજ મોઢવાડા ખાતેથી આ રથયાત્રાનું દિવ્ય પ્રારંભ થશે. આ પ્રસંગે મહેર મણિયારા રાસ સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સામાજીક અને લોકજાગૃતિના ઉદેશ સાથે આ શોભાયાત્રા ર૧ દિવસ સુધી અલગ અલગ સ્થળોએ ફરશે. 
સમાજના શૈક્ષણિક વિકાસ, ઉત્કર્ષ, અંધશ્રદ્ધા નિવારણ, સસક્ત, સમર્થ અને વ્યસન મુક્ત સમાજના નિર્માણ અર્થે ઇન્ટર નેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા મા લીરબાઇ આઇ રથયાત્રા-ર૦રરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા.૧ર એપ્રિલને મંગળવારના રોજ મોઢવાડા ખાતેથી લીરબાઇ માતાજીની રથયાત્રાનું પ્રસ્થાન થશે. તેમાં મહેર જ્ઞાતિના ભાઇઓ-બહેનો પોતાના પરંપરાગત પહેરવેશ સાથે જોડાશે. મોઢવાડા ખાતેથી રથયાત્રાનું પ્રસ્થાન થઇ રહ્યું હોય હજારોની સંખ્યામાં લોકો મોઢવાડા ગામે ઉપસ્થિત રહેશે અને દિવસ દરમિયાન મહેર જ્ઞાતિના પરંપરાગત મણિયારા રાસ તેમજ બહેનોના રાસડાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાંજે ૪ કલાકે આ રથયાત્રાનું પ્રસ્થાન થશે. આ યાત્રા કુલ ર૧ દિવસની રહેશે. પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને જૂનાગઢ સહિત પાંચ જિલ્લાના ૧૭૦ જેટલા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી પસાર થશે અને લોકજાગૃતિનો સંદેશો આપશે. આ રથયાત્રા જે શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં રાત્રી રોકાણ કરશે ત્યાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સર્વજ્ઞાતિ માટે આ રથયાત્રા યોજવામાં આવી છે. લોકો નાત-જાતના ભેદભાગવીના આ શોભાયાત્રામાં જોડાઇ શકે છે. ર૧ દિવસની આ ભવ્ય શોભાયાત્રાને લઇને આ ઇન્ટર નેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલની કમીટીઓ કામ કરી રહી છે. આ શોભાયાત્રા ર૧ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં ફર્યાબાદ તા.ર મેના રોજ રાણાકંડોરણા ખાતે વિરામ પામશે. આ દિવસે પણ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રાને લઇને મહેર સમાજમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. લીરબાઇમાતા પ્રત્યે અનેક લોકો અખૂટ શ્રદ્ધા ધરાવે છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં કારનો કાફલો જોડાશે.આ રથયાત્રામાં જોડાવા ધર્મપ્રેમી જનતાને ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલનાં પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરાએ નિમંત્રણ પાઠવ્યું છે. 

Related Posts