ગુજરાત

નવસારીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ત્રણ લોકોના મોત થયાં

ગુજરાતના નવસારી જિલ્લાથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવસારીના ગણદેવીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાથી ત્રણ લોકો આગમાં બળી મોતને ભેટ્યાં છે. આ સિવાય અન્ય ત્રણ લોકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે. તેમજ હજું અનેક લોકો આગમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગની ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે.  મળતી માહિતી મુજબ, ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવીનાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ગોડાઉનમાં જ્યારે ટ્રકમાંથી બેરલ ખાલી કરવામાં આવી રહ્યાં હતાં,

ત્યારે એકાએક તેમાં ભડકો થયો. આ ભડકો થતાંની સાથે જ તેણે તુરંત આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. ભડકો થતાંની સાથે જ ત્રણ લોકો આગની લપેટમાં આવતાં ત્યાંને ત્યાં જ જીવતા ભૂંજાઈ ગયાં છે, તેમજ ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. આગની ઘટના સામે આવતાં જ તુરંત ફાયર વિભાગને બોલાવવામાં આવ્યું હતું. જાેકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બીલીમોર, ગણદેવી, નવસારી અને ચીખલી જેવા વિસ્તારોમાંથી પણ ફાયરની ટીમોને બોલાવવામાં આવી છે. ફાયરની ટીમ સમગ્ર આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હજુ ત્રણ મજૂર ગોડાઉનમાં ફસાયા હોવાની આશંકા છે. પોલીસ પાસેથી મળતી માહિતી મજુબ, ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતાં અઅચાનક આગ લાગી હતી. નીચે પણ ઘણી જગ્યાએ કેમિકલ ઢોળાયું હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું. હાલ આગ પર કાબૂ મેળવી ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. મૃતદેહોને બહાર કાઢી તેમની ઓળખ કરવામાં આવી રહી છે અને ઈજાગ્રસ્તને તાત્કાલિક ધોરણે વલસાડની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

Related Posts