રાષ્ટ્રીય

વડાપ્રધાને દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી

વડાપ્રધાન મોદીએ ૨૦૨૦ના વર્ષમાં રાજસ્થાન સરહદે લોંગેવાલા પોસ્ટ પર જવાનો સાથે દિવાળી ઉજવી હતી. જ્યારે ૨૦૧૯ના વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એલઓસી ખાતે સૈનિકો સાથે દિવાળી ઉજવવા જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાનો પ્રવાસ ખેડ્યો હતો. આ વખતે પણ તેઓ જમ્મુ કાશ્મીરની યાત્રા કરશે. ત્યાર બાદ શુક્રવારે એટલે કે, ૫ નવેમ્બરના રોજ વડાપ્રધાન કેદારનાથ જવાના છે. તેઓ કેદારનાથ મંદિરમાં પૂજા કરશે અને આદિ શંકરાચાર્યની સમાધિ સ્થળનું અનાવરણ પણ કરશે. પીએમ મોદી આદિ શંકરાચાર્યની એક પ્રતિમાનું પણ અનાવરણ કરશે જેમને હિંદુ ધર્મને પુનર્જીવિત કરવાનો શ્રેય આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાને ટિ્‌વટમાં લખ્યું હતું કે, ‘દિવાળીના પાવન અવસર પર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. મારી કામના છે કે, આ પ્રકાશ પર્વ તમારા સૌના જીવનમાં સુખ, સંપન્નતા અને સૌભાગ્ય લઈને આવે.’ આજે દેશભરમાં દિવાળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. જાણવા મળ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વખતની જેમ આ વર્ષે પણ જવાનો સાથે દિવાળી ઉજવશે. વડાપ્રધાન મોદી ગુરૂવાર એટલે કે, આજે જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે. એક અહેવાલ પ્રમાણે વડાપ્રધાન નૌશેરા સેક્ટરમાં સેનાના જવાનો સાથે દિવાળી ઉજવશે.

Related Posts