સુરતમાં બીમાર પુત્રની સારવાર માટે હોસ્પિટલ જઈ રહેલી પરિવારની રીક્ષા પલટી ખાઈ ગયી હતી. જેમાં ૪ વર્ષીય બાળકીને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બાળકીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એરંડાલ ગામના વતની અને હાલમાં કડોદરા ખાતે રહેતા અલીમુદિન ઉર્ફે અઝહર સલીમ શેખ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.
તેને સંતાનમાં એક ૪ વર્ષીય બાળકી અનાવિયા અને ૩ વર્ષીય પુત્ર હસન છે. દરમ્યાન આ પરિવાર થોડા દિવસો અગાઉ લીંબાયત ખાતે રહેતા તેના ભાઈને ત્યાં આવ્યો હતો. આ દરમ્યાન પુત્ર હસનની તબિયત ખરાબ હોય અલીમુદિન તેની પત્ની, પુત્રી અને પુત્રને પોતાની રીક્ષામાં બેસાડી સિવિલ હોસ્પિટલ આવવા માટે નીકળ્યો હતો. આ દરમ્યાન રાતે સાડા દસેક વાગ્યાના અરસામાં ઉમરવાડા સ્થિત સાઈ દર્શન માર્કેટ પાસે અલીમુદીને સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા પલટી મારી ગયી હતી. જેમાં તેની સાથે પત્ની અને બને બાળકોને પણ ઈજાઓ થઇ હતી.
જેમાં ચાર વર્ષની બાળકી અનાવિયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેથી બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. અલીમુદી શેખ તેના પુત્રને સારવાર કરાવવા જઈ રહ્યો હતો દરમિયાન તેની ચાર વર્ષની પુત્રી અકસ્માતને લઈ મોત નીપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.અને બાળકીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. ત્યારે ઘટનાને પગલે સલાબતપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments