ગુજરાત

ધન્વંતરી રથમાં રીપોર્ટ પોઝિટિવ પણ ટેસ્ટિંગ બુથમાંથી નેગેટિવ

એક બાજું રાજ્યના મહાનગરની સ્થિતિ કોરોનાએ કફોડી કરી નાંખી છે. હોસ્પિટલમાં જગ્યાઓ નથી અને સ્મશાનમાં પણ લાઈનમાં અંતિમક્રિયા કરવાનો વારો આવે છે. એવામાં તંત્રની બેદરકારીને કારણે લોકો ઘણી વખત અટવાઈ જાય છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી એક જ સરખા નામને કારણે થયેલા હોબાળા બાદ વધું એક બેદરકારી સામે આવી છે. એક જ દર્દીએ સવારે ધન્વંતરી રથમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. ત્યારે એનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

પણ રૈયા ચોકડી પાસે આવેલા ટેસ્ટિંગ બુથમાં ટેસ્ટ કરાવતા રીપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાજકોટ શહેરમાં સ્થિતિ ગંભીર થઈ રહી છે ત્યારે મહાનગર પાલિકાએ સતર્કતા રાખવાને બદલે આવી બેદરકારી છતી થઈ રહી છે. જેના કારણે સ્થાનિક પ્રજામાં રોષ જાેવા મળી રહ્યો છે. રાજકોટ મહાનગર પાલિકા તરફથી સંક્રમણ ઓછું કરવા માટે જુદા જુદા પ્રકારના પગલાં લેવાઈ રહ્યા છે. ૧૫ ધન્વંતરી રથ મળીને કુલ ૪૫ વાહનો કોરોનાની કામગીરીમાં રોકી દેવાયા છે. પેડક રોડ, સોરઠિયા વાડી તથા રૈયા ચોકડી પાસે ટેસ્ટિંગ બુથ ઊભા કરવામાં આવ્યા છે. બે ટેસ્ટ કરાવવા છતા રીપોર્ટ અલગ અલગ આવતા લોકો હવે મુંઝાયા છે કે ખરેખર સાચું શું છે? દર્દી કિશનભાઈ રાજપરા ભારતીનગર શેરી નં.૬માં રહે છે. જ્યારે ઘર પાસે રથ આવ્યો ત્યારે એમણે ટેસ્ટ કરાવ્યો હતો. કિશનભાઈ કહ્યું કે, સવારે હું નંદનવન આરોગ્ય કેન્દ્ર ખાતે રીપોર્ટ કરાવવા ગયો હતો. ત્યાં અલગ રીપોર્ટ આવ્યો અને ટેસ્ટિંગ બુથ પર કરાવ્યો તો પણ અલગ રીપોર્ટ આવ્યો. એટલે કે એક પોઝિટિવ અને એક નેગેટિવ રીપોર્ટ આવ્યો છે. હવે હું પોઝિટિવ છું કે નેગેટિવ એ મને કેમ ખબર પડે?

બીજી તરફ જસદણમાંથી પણ આવો કેસ સામે આવ્યો છે. જ્યાં શિક્ષિકા તરીકે નોકરી કરતા નેહાબેન રાઠોડને સામાન્ય ઉધરસ આવતી હતી તો જસદણની વિપુલ લેબમાં સેમ્પલ આપ્યું હતું. જે રાજકોટની ભટ્ટ લેબમાં તપાસ હેતું મોકલાયું હતું. જેનો બીજા દિવસે રીપોર્ટ આવતા ૧૧.૨૦ ડી ડાયમર આવતા દંપતિને ચિંતા થઈ હતી. ફરી ભટ્ટ લેબમાં સેમ્પલ આપતા રીપોર્ટ સામાન્ય એટલે કે, ૦.૨૭ ડી ડાયમર આવ્યો અને કોરોના રીપોર્ટ પણ નેગેટિવ આવ્યો. જસદણના ડૉ. વિજય બાવળીયાએ જણાવ્યું કે, સેમ્પલિંગમાં ભૂલ થઈ ગઈ હશે એટલે આવું બન્યું છે. જ્યારે લેબ સંચાલક કહે છે કે, રીપોર્ટનું રીઝલ્ટ મારા હાથમાં નથી. મારૂ કામ માત્ર અહીંથી મોકલવાનું છે.

Related Posts