ગુજરાત

જામનગરના પસાયા બેરાજામાં ‘ગામ ચલો અભિયાન’ કાર્યક્રમ દરમીયાન કૃષિ મંત્રી રાઘવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો વધુ સારવાર અર્થે મુંબઈ લઈ જવાય તેવી શક્યતા

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. જેથી તેઓને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. મુખ્યમંત્રી સતત સંપર્કમાં છે. જામનગરના પસાયા બેરાજામાં ‘ગામ ચલો અભિયાન’ કાર્યક્રમમાં હતા તે દરમિયાન રાત્રે તેઓને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. રાઘવજી પટેલની ખબર અંતર પૂછવા માટે ભાજપના અનેક અગ્રણીઓ હાલ હોસ્પિટલમાં પહોંચ્યા છે. હેલ્થ કમિશનર અને હેલ્થ સેક્રેટરી પણ સિનર્જી હોસ્પિટલ પહોંચશે.

હાલ રાઘવજી પટેલની તબીયત સારી હોવાનું મંત્રી મુળુભાઈ બેરા સહિતનાઓએ જણાવ્યું હતું. મંત્રી રાઘવજી પટેલને મુંબઈ શિફ્ટ કરવામાં આવી શકે છે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને વધુ સારવાર અર્થે મુંબઈ લઈ જવાય તેવી શક્યતા છે. પરિવારજનો દ્વારા ર્નિણય લેવાયા બાદ મુંબઈ શિફ્ટ કરવામાં આવી શકે છે. ૩ વાગ્યા આસપાસ મુંબઈ શિફ્ટ કરાઈ તેવી શક્યતા છે. મુંબઈની ૩ હોસ્પિટલનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. રાજ્યના કૃષિ મંત્રી અને જામનગરની ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય રાઘવજી પટેલને નાનો બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. જેથી તેઓને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ન્યુરોસર્જન ડૉ. સંજય ટીલાળા સારવાર આપી રહ્યાનું જાણવા મળે છે.

હાલમાં ઓપરેશનની જરૂર ન હોવાનું હોસ્પિટલ વર્તુળો જણાવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડોક્ટર સાથે વાત કરી હતી. મંત્રી રાઘવજી પટેલ ડોક્ટરના ઓબઝર્વેશનમાં છે. હાલ રાઘવજી પટેલની તબિયત સ્થિર છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કૃષિમંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની તબિયતને લઈ સતત સંપર્કમાં છે. ભાજપના અન્ય નેતાઓ પણ હાલ તેમના ખબર અંતર પૂછી રહ્યા છે. રાઘવજી પટેલ એક ખેડૂતના નેતા છે, લડાયક નેતા છે. રાઘવજી પટેલ જલ્દી સાજા થઈ લોકોની સેવામાં ફરી આવશે. રાજકોટની સીનર્જી હોસ્પિટલના ડૉ. જયેશ ડોબરિયાએ જણાવ્યું કે, પરિસ્થિતિ અત્યારે સંપૂર્ણ કાબૂમાં છે.

હેમરેજ વધતુ નથી. ગઈકાલે રાતે તેઓને દાખલ કર્યા હતા. ૬૫ વર્ષની ઉંમરે આવા ખેડૂત નેતા આ પ્રમાણે કામ કરતા હોય ત્યારે સ્વભાવીક છે કે, નાની મોટી ડાયાબીટીસ કે બ્લડપ્રેસર જેવી બીમારી હોય ત્યારે ઘણી વખત આ પ્રમાણેના કેસ વધતા હોય છે. આવા કેસમાં શરૂઆતના ત્રણેક દિવસ મહત્વના હોય છે. જે બાદ એકથી બે અઠવાડિયાની અંદર દર્દી સ્વસ્થ થઈ જતા હોય છે. આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલે જણાવ્યું કે, હાલ તેઓની તબીયત સ્થિર છે. અત્યારે તેમની સારવાર ચાલી રહી છે અને જરૂર પડ્યે આગળની વ્યવસ્થા પર કરવામાં આવશે.

મુળુભાઈ બેરાએ જણાવ્યું કે, હું રાઘવજીભાઈને હમણાં જ મળીને આવ્યો છું. તેઓ આરામમાં હતા છતાં મારી સાથે વાત કરી હતી. ડોક્ટરે તેઓને કહ્યું કે, મુળુભાઈ આવ્યા છે એટલે તેઓએ મારી સાથે વાત કરી હતી. મે તેમની તબીયત પૂછતા રાઘવજીભાઈએ મને કહ્યું કે, હવે સારૂ છે. અત્યારે રાઘવજીભાઈની તબીયત ખુબ સારી છે. સ્ટેબલ છે. સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે જણાવ્યું કે, બેરાજા ગામે એક કાર્યક્રમ દરમિયાન રાત્રે તેઓને માથામાં દુખાવાની તકલીફ ઉભી થઈ હતી. જેથી તાત્કાલીક ડૉક્ટરોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ડૉક્ટરોની ટીમ તેઓની સારવાર કરી રહ્યા છે.

રાઘવજી ભાઈ હિંમતવાન અને મહેનતુ અને નિષ્ઠાવાન આગેવાન છે તેઓની તબીયત હાલ સુધારા ઉપર છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ બનાસકાંઠાના ડિસા તાલુકામાં છે, ત્યારે જેવી તેઓને જાણ થઈ કે તુંરત ત્યાથી તેઓએ રાઘવજીભાઈના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને હિંમત આપી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ સતત સંપર્કમાં છે. ભાજપના તમામ નેતાઓ રાઘવજીભાઈના ખબર અંતર પૂછી રહ્યા છે. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય રમેશ ટીલાળા અને ઉદય કાનગડ, જિલ્લા કલેક્ટર પ્રભવ જાેશી, મંત્રી ભાનુબેન બાબરીયા અને પૂર્વ મેયર ડો. પ્રદીપ ડવ સહિતનાઓ રાઘવજી પટેલના ખબર અંતર પૂછવા સીનર્જી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને રાત્રિના ૧૧ઃ૩૦ કલાકે જામનગર તાલુકાના પસાયા ગામે નાનો બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેથી તેને સારવાર માટે તાત્કાલિક પસાયા ગામથી રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ‘ગામ ચલો અભિયાન’ કાર્યક્રમ ચાલી રહ્યો છે તે દરમિયાન રાત્રી રોકાણ પર જામનગર તાલુકાના પસાયા બેરાજામાં આ કાર્યક્રમ હતો, જ્યાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ રાત્રે રોકાણમાં હતા, તે દરમિયાન રાત્રિના ૧૦ઃ૩૦ કલાકે બ્રેઈન સ્ટોક આવ્યો હતો.

Related Posts