ગુજરાત

ગઢ ગામમાં આયોજીત રાત્રિ સભામાં ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યો’જાે ધનશક્તિથી લોકશાહી ખરીદાતી હોય તો અંબાણી અને અદાણી ભેગા થઈને ૫૪૨ સીટો ખરીદી નાંખે’ : ગેનીબેન ઠાકોર

બનાસકાંઠા લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જિલ્લાના ગામડા ખૂંદીને પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ સતત ભાજપ પર આકરા પ્રહાર કરી રહ્યા છે. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ગઢ ગામમાં આયોજીત રાત્રિ સભામાં ફરી એકવાર ભાજપ પર આકરા પ્રહારો કરીને ખળભળાટ મચાવી દીધો છે. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ગઢ ગામે પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલા ભાજપવાળા દરેક સીટ ઉપર ૫ લાખની લીડની વાત કરતા હતા અને ભાષણ કરતા હતા.

જેમ ઉમેદવારો નક્કી થયા બાદ અમારે બનાસકાંઠામાં તો આખી સિસ્ટમ ચેન્જ થઈ છે, આવી સિસ્ટમ કદાચ ગુજરાતમાં કોઈ જગ્યાએ નહિ હોય. હવે તેમને જીતવું કાઠું લાગતા બનાસકાંઠાના ૨૦ લાખ મતદારો ઉપર વિશ્વાસ નથી. જેથી તેવો પાટણ લોકસભાના વડગામના મતદારો કેન્સલ કરી પાલનપુરમાં લાવી રહ્યા છે અને રાધનપુરના ભાભરમાં લાવી રહ્યા છે. ગેનીબેન ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, જાે બહારથી મતદારો લાવવા પડતા હોય તો ભાજપના ૫ લાખની લીડના દાવા પોકળ છે. એકબાજુ જનશક્તિ છે અને બીજી બાજુ ધન શક્તિ છે. જાે ધનશક્તિથી લોકશાહી ખરીદાતી હોય તો મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બન્ને ભેગા થઈને ૫૪૨ સીટો ખરીદી નાંખે.

તેમણે જણાવ્યું હતું કે મારે લોકસભાની ચૂંટણી લડવી ન હતી પણ મને કિરીટ પટેલે કહ્યું કે તમારે પાર્ટી સંઘર્ષમાં છે એવા સમયે ચૂંટણી લડવી પડે. મેં કહ્યું કે મારી પાસે ડિપોઝીટ ભરવાના પણ પૈસા નથી તો કહ્યું કે વાંધો નહિ અમે બેઠા છીએ. એ બેઠા છે કે નહીં એ મને ખબર નથી પણ લોકો મારી પાસે પૈસાનો ખર્ચ કરાવતા નથી. ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, અમારા સમાજના અનેક દીકરાઓ પણ જેલમાં છે. અહીં પણ પાટીદાર સમાજના યુવાનો ઉપર ખોટા કેસ કર્યા છે. અમે ચંદનજી ઠાકોર અને કિરીટભાઈ જે સમાજના દીકરાઓ ઉપર ખોટા કેસ કર્યા છે તેની સામે રજુઆત કરીશું ગઢ ખાતે સભામાં પાટણના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર , પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિત અનેક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts