અમરેલી

સાવરકુંડલા પરશુરામ સેના દ્વારા તેજસ્વી તારલાઓ અને પૂર્વ સૈનિકોનું ભવ્ય સન્માન, નારી શક્તિ સન્માન સાથે દેશભક્તિના મૂલ્યો ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો

સમાજના ઉત્કર્ષ અને એકતાના ઉમદા હેતુથી, સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત શ્રી પરશુરામ સેના દ્વારા તાજેતરમાં એક અદ્ભુત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને દેશની સેવા કરનાર પૂર્વ સૈનિકોનું ગૌરવ વધારવાનો હતો. આ સમારોહની સૌથી વિશેષ વાત એ હતી કે નારી સશક્તિકરણ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે સમાજમાં નારી ના મહત્ત્વપૂર્ણ સ્થાન ને ઉજાગર કર્યું હતું. આ સાથે, દેશની સેવામાં અગ્રેસર રહેલા પૂર્વ સૈનિકોનું પણ ગૌરવભેર સન્માન કરીને સમાજે રાષ્ટ્રભક્તિના મૂલ્યોને વધુ મજબૂત બનાવ્યા હતા.
આ પ્રસંગે, સમસ્ત બ્રહ્મ સમાજને એક તાંતણે બાંધવાનો અને સૌને સંગઠિત કરવાનો સુખદ પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, અને જિલ્લા ઉપાધ્યક્ષ શરદ પંડ્યા ઉપસ્થિત રહી સમાજના આ પ્રશંસનીય કાર્યને બિરદાવ્યું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પરશુરામ સેનાના પ્રમુખ અમિતભાઈ પંડ્યા અને તેમની સમર્પિત ટીમે અથાક પરિશ્રમ કર્યો હતો. આ સન્માન સમારોહ સમાજમાં શિક્ષણ, સશક્તિકરણ, અને રાષ્ટ્રભક્તિના મૂલ્યોને વધુ મજબૂત બનાવવામાં એક સીમાચિહ્ન રૂપ સાબિત થયો હતો. તેમ પત્રકાર યશપાલ વ્યાસની યાદીમાં જણાવેલ છે.

Related Posts