અમરેલી

સાવરકુંડલા નગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓ નો ભવ્ય પદગ્રહણ સમારોહ સંપન્ન

જનતાના પ્રશ્નો ઉકેલવા 

કટિબદ્ધ થઈ ગયા,

સાવરકુંડલાના વિકાસ 

કાજે સૌ સજ્જ થઈ ગયા.

​–“પાંધી સર” :

સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના સક્ષમ નેતૃત્વ અને પ્રેરક માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા નગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓનો પદગ્રહણ સમારોહ ભારે ઉત્સાહ, ઉમંગ અને ગૌરવપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે શહેરભરમાંથી પ્રચંડ જનમેદની ઉમટી પડી હતી.

​શ્રી જોગીદાસ બાપુ ખુમાણ નગરસેવા સદન (નગરપાલિકા કચેરી) ખાતે આયોજિત આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં તમામ નવનિયુક્ત પદાધિકારીઓએ શાસ્ત્રોક્ત વિધિથી વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. જેમાં:

​નવનિયુક્ત પ્રમુખશ્રી: નયનાબેન કાપડિયા

​નવનિયુક્ત ઉપપ્રમુખશ્રી: નુતનબેન તન્ના

​નવનિયુક્ત ચેરમેનશ્રી: જીગ્નેશભાઈ ટાંક

​નવનિયુક્ત દંડકશ્રી: અરવિંદભાઈ મેવાડા

​શાસક પક્ષના નેતાશ્રી: દિનેશભાઇ રાઠોડ

​ચાર્જ સંભાળતાની સાથે જ તમામ પદાધિકારીઓએ એકસૂરે જણાવ્યું હતું કે, તેઓ પ્રજાલક્ષી કાર્યો માટે ૨૪ કલાક જાગૃત રહેશે અને સ્થાનિક સમસ્યાઓનો ત્વરિત ઉકેલ લાવી સાવરકુંડલાના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈ પર લઈ જશે.

​આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નવી ટીમને અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આ નવી ઊર્જાવાન અને સક્ષમ ટીમ સંગઠનની શક્તિથી પ્રજાના હિતમાં શ્રેષ્ઠ પરિણામો આપશે અને વિકાસ કાર્યોને વધુ ગતિશીલ બનાવશે.

​આ ઐતિહાસિક પ્રસંગે સંગઠનના તમામ હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, વિવિધ પક્ષોના કાર્યકર્તાઓ, રાજકીય આગેવાનો, વેપારી મંડળોના પ્રતિનિધિઓ, શિક્ષક સંઘ, સામાજિક-ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત જનમેદનીએ નવા પદાધિકારીઓને પુષ્પગુચ્છ આપીને ઉત્સાહભેર શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Posts