અમરેલી

માનવ મંદિર આશ્રમ ખાતે ભંડારા મહોત્સવની તૈયારીઓ અંગે સાધુ સમાજની બેઠક યોજાઈ

સાવરકુંડલાના માનવ મંદિર આશ્રમ ખાતે આગામી 22 જૂન, 2026ના રોજ યોજાનાર ભંડારા પ્રસંગની તૈયારીઓ અને વ્યવસ્થાઓ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પૂજ્ય ભક્તિ બાપુના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં સાવરકુંડલા તાલુકા સાધુ સમાજના સંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન ભંડારા પ્રસંગને સફળ બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને સંતો-મહંતો, ભક્તજનો અને મહેમાનો માટેની રહેઠાણ, પ્રસાદ, પાર્કિંગ, સ્વચ્છતા, પીવાના પાણી તેમજ અન્ય જરૂરી સુવિધાઓ અંગે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને સુચારુ વ્યવસ્થા ગોઠવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

પૂજ્ય ભક્તિ બાપુએ જણાવ્યું હતું કે ભંડારો માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ સેવા, સમર્પણ અને સમાજને એકત્રિત કરવાનું એક પવિત્ર માધ્યમ છે. તેમણે સાધુ સમાજ અને સેવાભાવી કાર્યકરોને જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવા અનુરોધ કર્યો હતો.

બેઠકમાં ઉપસ્થિત સાધુ-સંતોએ પણ પોતાના સૂચનો રજૂ કર્યા હતા અને કાર્યક્રમને ભવ્ય તેમજ યાદગાર બનાવવા માટે સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. માનવ મંદિર આશ્રમ ખાતે યોજાનાર આ ભંડારા પ્રસંગને લઈને ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 22 જૂનના રોજ મોટી સંખ્યામાં સંતો, મહંતો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related Posts