આગામી તા. ૧૫મી ઓગસ્ટના રોજ અમરેલીની ઐતિહાસિક ધરા પર આયોજિત ૮૦મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં અખંડ દેશભક્તિનો માહોલ સર્જાયો છે. આ આઝાદીનું પર્વ માત્ર એક મહોત્સવ ન બની રહેતા પ્રત્યેક નાગરિકના હૃદયમાં રાષ્ટ્રચેતનાનો સંચાર કરે તેવા ઉમદા આશય સાથે, પ્રી-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટીઝ અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય જાહેર માર્ગો અને ચોક વિસ્તારોમાં વતનની આન-બાન-શાનને ઉજાગર કરતું એક ભવ્ય અને અભૂતપૂર્વ ‘વોલ પેઇન્ટિંગ’ (દીવાલ ચિત્રકામ) અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ વિશેષ અભિયાન અંતર્ગત શહેરની મુખ્ય જાહેર દીવાલો અને સરકારી પરિસરો પર દેશ કાજે સર્વસ્વ કુરબાન કરનારા ક્રાંતિવીરોના વિચારો, દેશભક્તિ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમના પ્રેરણાદાયી સંદેશાઓને સુંદર રીતે જીવંત રંગો અને આકર્ષક ચિત્રો દ્વારા કંડારવામાં આવ્યા છે. આ અભિયાનનો ઉદ્દેશ અમરેલી શહેરને કલાત્મક રીતે સ્વચ્છ, સુંદર અને આકર્ષક બનાવવાની સાથે પ્રત્યેક નાગરિકના હૃદયમાં દેશભક્તિ અને સ્વચ્છતા અંગે પ્રબળ જનજાગૃતિ લાવવાનો છે. આ કલાત્મક દીવાલો આજે વાચકો અને રાહદારીઓમાં આઝાદીના વીરો પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવાનું મુખ્ય કેન્દ્ર બની છે.
૮૦મા સ્વાતંત્ર્ય પર્વની આ રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી આ નવતર પહેલ દ્વારા “આપણો દેશ, આપણું ગૌરવ” ની સામૂહિક ભાવનાને પ્રબળ રીતે ઉજાગર કરવામાં આવી છે.
અમરેલી નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળિયા, ઉપપ્રમુખ શ્રી વિરલભાઈ પોપટ, કારોબારી ચેરમેન શ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, ચીફ ઓફિસર શ્રી સહિતના પદાધિકારીઓ,કર્મચારીઓએ શહેરના વિવિધ સ્થળો પર મુલાકાત લીધી હતી. ઉપરાંત તમામ પદાધિકારીઓએ પોતે પીંછી પકડીને વોલ પેઇન્ટિંગની આ રાષ્ટ્રપ્રેમી કામગીરીમાં ખૂબ જ ઉત્સાહભેર સહભાગી થઈ માહોલને વધુ દેશભક્તિમય બનાવ્યો હતો.


















Recent Comments