સ્વતંત્રતા દિવસની વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતું ૨૫૧મું અંગદાન સંપન્ન થયું છે. ખેડા જિલ્લાના કપડવંજ ખાતે રહેતા ૩૮ વર્ષીય બુધાભાઈ સોઢાભાઈ પરમાર બ્રેઈન ડેડ જાહેર થતાં, તેમના પરિવારે લીધેલા અત્યંત સંવેદનશીલ અને સાહસિક નિર્ણયથી આજે ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે.
ઘટનાની વિગત મુજબ, બુધાભાઈ પરમાર ગત ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોની સઘન સારવાર છતાં સ્થિતિમાં સુધાર ન થતા, તા.૧૪ ઓગસ્ટના રોજ તબીબો દ્વારા તેમને ‘બ્રેઈન ડેડ’ જાહેર કરવામાં આવ્યા હતા.
જીવનસાથી ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પણ બુધાભાઈના પત્ની ભાવનાબેન અને તેમના પરિવારે અસીમ ધૈર્ય દાખવ્યું હતું. સિવિલની અંગદાન ટીમના ડૉ. મોહિત ચંપાવતના યોગ્ય કાઉન્સેલિંગ બાદ, પરિવારે માનવતા અભિગમ અપનાવીને અંગદાન માટે પોતાની લેખિત સંમતિ આપી હતી.
અંગદાનમાં પ્રાપ્ત થયેલા હૃદયનું સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ (Transplant) કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, દાનમાં મળેલું એક લીવર અને બે કિડની IKDRC (કિડની હોસ્પિટલ) ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓમાં પ્રત્યારોપિત કરીને તેમને નવજીવન બક્ષવામાં આવ્યું છે.
સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા પર્વના દિવસે બ્રેઈન ડેડ દર્દીના અંગદાનથી અન્ય દર્દીઓને નવજીવન મળ્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં કુલ ૨૫૧ અંગદાતાઓ થકી ૧,૦૭૯ અંગો અને પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે. જેમાં ૪૬૪ કિડની, ૨૨૫ લીવર, ૭૯ હૃદય, ૩૪ ફેફસાં, ૨૧ સ્વાદુપિંડ, ૦૬ હાથ અને ૦૨ નાનાં આંતરડાં મળીને કુલ ૮૩૧ અંગો પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત ૨૦૦ ચક્ષુ તથા ૪૮ ચામડી –સ્કિન પ્રાપ્ત કરીને કુલ ૨૪૮ પેશીઓ પ્રાપ્ત થઇ છે.















Recent Comments