ગુજરાત

પત્રકારત્વની કેડીએ યુવાનોની સર્જનશીલતા વધુ મજબૂત અને સજ્જ બને તે હેતુથી ભુજમાં “સર્જક સાથે સંવાદ” કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રેસ અકાદમી – ગાંધીનગર, જિલ્લા માહિતી કચેરી ભુજ- ચ્છ અને કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે કુલપતિ શ્રી ડૉ. મોહન પટેલની અધ્યક્ષતામાં ‘ પત્રકારત્વની કેડીએ…. યુવાનો અને સર્જકોનો સંવાદ’ વિષય પર ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ કચ્છ યુનિવર્સિટીના કોર્ટ હોલ યોજાયો હતો.

આ કાર્યક્રમના પ્રારંભે શાબ્દિક સ્વાગત તેમજ પ્રાસંગિક ઉદ્બોધન કરતા ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગરના સચિવશ્રી જયેશ દવેએ જણાવ્યું હતું કે, આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ યુગમાં માધ્યમો ભલે બદલાયા હોય, પરંતુ માનવીય સંવેદનાનો કોઈ વિકલ્પ નથી. મશીનમાં ટેક્નોલોજી છે પણ સંવેદના નથી. વધુમાં તેમણે ઉમેર્યું કે, જ્યારે વિચારમાં સંસ્કારિતા અને સંવેદના ભળે છે ત્યારે જ સાચો સંવાદ શક્ય બને છે. શ્રી દવેએ ભાષા શુદ્ધિ અને સજ્જતા પર વિશેષ ભાર મૂકતાં જણાવ્યું હતું કે, પત્રકારત્વ અને સાહિત્યમાં શુદ્ધ શબ્દનો ઉપયોગ અત્યંત જરૂરી છે. આજે 'રીલ' અને 'પોસ્ટ'ના જમાનામાં દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા દ્વારા પત્રકારત્વનું કામ કરી રહી છે, ત્યારે સત્ય અને સજ્જતા સાથે લેખન કરવું એ સમયની માંગ છે. ૨૧મી સદીના વાચક અને છેવાડાના માનવી સુધી સાચો અને અસરકારક સંદેશ પહોંચાડવાની જવાબદારી પણ સર્જકો અને પત્રકારોની છે.

રાજકોટ અને જુનાગઢ ઝોનના સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેષભાઈ મોડાસિયાએ જણાવ્યું હતું કે, યુવાનોને વડાપ્રધાનશ્રીના વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાના સંકલ્પને સાકાર કરવા સૌપ્રથમ વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું પડશે. જેમાં યુવા પેઢીની ભૂમિકા અને જવાબદારી અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે સોશિયલ મીડિયાના આભાસી જગતમાંથી બહાર આવી સર્જકો સાથે રૂબરૂ સંવાદ કરવા અને 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત ૨૦૪૭'ના સંકલ્પમાં સક્રિય યોગદાન આપવા યુવાનોને આહ્વાન કર્યું હતું. 

આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ તેમજ કચ્છ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. મોહનભાઈ પટેલે સાહિત્યના ક્ષેત્રમાં યુવાનોની સહભાગિતા, લોકસંસ્કૃતિનું જતન તેમજ ટેક્નોલોજીના આ સમયમાં સાહિત્યિક મૂલ્યોની જાળવણી પર ભાર મૂક્યો હતો. નવયુવાન વાર્તાકારો અને લેખકોના આગમનથી સાહિત્યનું ભવિષ્ય ઉજ્જવળ અને સુરક્ષિત હાથોમાં હોવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. કચ્છની ભૂમિને સાહિત્ય માટે "ઓપન લેબોરેટરી" ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે, કચ્છના સાહિત્યને આગળ ધપાવવામાં શૈક્ષણિક સંસ્થાઓનું યોગદાન અગત્યનું છે. ભાષાકીય શુદ્ધતા અને સાહિત્યિક સૂઝ ધરાવતા ઉત્તમ પત્રકારો તૈયાર કરવા સમયની માંગ છે. તેમણે એ.આઈ. ટેકનોલોજીના કારણે પુસ્તકો અને સાહિત્યિક સંપદા સામે ઊભેલા પડકારો અંગે સૌને માહિતગાર કર્યા હતા. સાહિત્યના માધ્યમથી માત્ર પદ કે ડિગ્રી જ નહીં, પરંતુ એક ઉત્તમ માનવી બનીને સમાજમાં યોગદાન આપવા માટે વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી.
 કવિ અને કટાર લેખક શ્રી જયન્તી જોશી "શબાબ" એ સર્જન અને પત્રકારત્વના સમન્વય પર પ્રકાશ પાડતા સચોટ અને જવાબદારી ભર્યા પત્રકારત્વ માટે દ્રવ્યાત્મક, રૂપાત્મક અને ભાવાત્મક પ્રલોભનો અને પ્રતિકૂળતા વચ્ચે કામ કરવાના ગુણો કેળવીને સાતત્યપૂર્ણ કામ કરવા પર ભાર મુકતા જણાવ્યું હતું કે,  વરસતા વાદળની જેમ સમાજને માહિતી અને જ્ઞાનનું અમૃત પુરું પાડવું એ પત્રકારનો સાચો ધર્મ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સમાજમાં જ્યારે અફવાઓ અને અસત્યનું ઝેર ઝડપી ફેલાતું હોય, ત્યારે પત્રકાર સમાજને બચાવવાનું અને સત્યને ટકાવી રાખવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. તેમણે ‘રૂબરૂ’ મુલાકાત અને આંતરિક સંવાદના મહત્વ પર ભાર મૂકતા કહ્યું હતું કે, સર્જક સાથેનું પ્રત્યક્ષ મિલન જ જ્ઞાન તથા સરસ્વતીની સાચી આરાધના છે. આ તકે તેમણે પત્રકારોને પૂર્વગ્રહમુક્ત, સમતુલિત અને સંવેદનશીલ બનીને જાગ્રત મન સાથે સમાજમાં સાચી સર્જકતા તથા વાસ્તવિકતાનો ઉજાસ ફેલાવવા અપીલ કરી હતી.
 
યુવા વાર્તાકાર, કટાર લેખકશ્રી અજય સોનીએ વ્યક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, સર્જક કોઈ જુદી દુનિયાનો વ્યક્તિ નથી હોતો પણ તે પોતાના અનુભવ જગતને કળામાં રૂપાંતરિત કરી શકે છે. લેખનએ સતત અભ્યાસનો વિષય છે. ઉત્તમ વાચન અને સૈદ્ધાંતિક જ્ઞાન મેળવ્યા બાદ જ સાહિત્ય સર્જનની દિશામાં આગળ વધી શકાય છે. વિચારની પ્રેરણા મળ્યા બાદ તેને સાકાર કરવાનું કાર્ય અભ્યાસ અને આવડત કરે છે.

નવી ટેક્નોલોજી અંગે તેમણે કહ્યું હતું કે, આજની પેઢી ‘ઝેનજી’ જન્મથી જ ટેક્નોલોજી સાથે જોડાયેલી છે, ત્યારે મોબાઈલ તેમના માટે માત્ર માહિતીનો સ્ત્રોત જ નહીં પણ અભિવ્યક્તિનું માધ્યમ પણ બની ચૂક્યો છે. એ.આઈ. એ માનવીનો વિકલ્પ નથી પરંતુ સહાયક મિત્ર છે. તેમણે ઉમેર્યું હતું કે, વાચનનું સ્વરૂપ બદલાયું છે. આજે યુવાનો ઓડિયો બુક, પોડકાસ્ટ અને વેબસાઈટ જેવા ડિજિટલ માધ્યમોથી સાહિત્ય મેળવે છે. બદલાયેલા સમય સાથે તમામ પેઢીઓએ પણ આ સ્વરૂપોનો સ્વીકાર કરવો પડશે. આજે આપણી પાસે અભિવ્યક્તિની અઢળક તકો ઉપલબ્ધ છે ત્યારે યુવાનોએ સમાજના પ્રભાવો અને વિચારોને યોગ્ય રીતે તપાસીને પોતાની વિવેકબુદ્ધિથી આગળ વધવું જોઈએ. એક માણસને બીજા માણસ સાથે જોડવાનું કામ કરે તે જ સાચી વિચારધારા છે.

કચ્છ યુનિવર્સિટીના કોર્ટ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્યથી આરંભ કરાયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું. કચ્છના નાયબ માહિતી નિયામક શ્રી ઘનશ્યામ પેડવાએ આભારવિધિ કરી હતી. તેમજ સર્જક સાથે સંવાદ કાર્યક્રમનો દોરીસંચાર સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સુશ્રી હનીબેન રાઠોડે કર્યું હતું. સામાન્ય જ્ઞાન કસોટીમાં વિદ્યાર્થીઓ ઉત્સાહથી જોડાયા હતાં, વિજેતાઓને પ્રોત્સાહનરૂપે મહાનુભાવોના હસ્તે ભેટ અપાઇ હતી. વક્તાઓએ પ્રશ્નોત્તરી દરમિયાન વિદ્યાર્થીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે કચ્છ  યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી અનિલભાઇ ગોર, ફાઇન આર્ટસ ફેકલ્ટીઝના ડીન ડૉ. કાશ્મિરા મહેતા, ગુજરાતી વિભાગના વડાશ્રી પ્રો. તીર્થંકરદાન રોહડિયા, નાયબ માહિતી નિયામકશ્રી પ્રશાંત ત્રિવેદી, નાયબ માહિતી નિયામકશ્રી સોનલબેન જોષીપુરા, સહાયક માહિતી નિયામક સર્વશ્રી પરિમલ પટેલ, પારૂલબેન આડેસરા, પ્રિયંકાબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન તથા જુનાગઢ ઝોનના માહિતી વિભાગના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ, ભાષા ભવનના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts