શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ઘેલાણી નિવાસ હોલિસ્ટિક હેલ્થ કેર સેન્ટર દ્વારા સમાજની ભાવિ પેઢીના સ્વાસ્થ્ય વર્ધન માટે એક સ્તુત્ય પહેલ કરવામાં આવી છે. સંસ્થાના આયુર્વેદિક વિભાગ દ્વારા તાજેતરમાં નવજાત શિશુથી લઈને ૧૨ વર્ષ સુધીના બાળકો માટે ‘સુવર્ણ પ્રાશન સંસ્કાર’ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આયુર્વેદિક તજજ્ઞ ડૉ. કોમલબેન કટારીયાના માર્ગદર્શન હેઠળ ૧૫૦થી વધુ બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે તમામ બાળકોને ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદિક પદ્ધતિ અનુસાર ચંદન તિલક કરીને આ પવિત્ર ઔષધિ ગ્રહણ કરાવવામાં આવી હતી.
સુવર્ણ પ્રાશન એ પ્રાચીન ભારતીય વિજ્ઞાનની અનમોલ ભેટ છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, સુવર્ણ ભસ્મ અને વિશિષ્ટ જડીબુટ્ટીઓથી યુક્ત આ ટીપા પીવડાવવાથી બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ (Immunity): કુદરતી રીતે વધે છે.
બૌદ્ધિક વિકાસ: સ્મરણશક્તિ અને ગ્રહણશક્તિ તેજ બને છે.
શારીરિક સ્વાસ્થ્ય: પાચનશક્તિ સુધરે છે અને શરીરની બાંધણી મજબૂત થાય છે.
રક્ષણ: વારંવાર થતી શરદી, ઉધરસ અને તાવ જેવી બીમારીઓ સામે રક્ષણ મળે છે.
સામાન્ય રીતે ખૂબ જ કિંમતી ગણાતી આ આયુર્વેદિક ઔષધિ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર દ્વારા સંપૂર્ણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી. સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના જાગૃત વાલીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ સેવાનો લાભ લીધો હતો.
ટીમવર્કથી કેમ્પની સફળતા
આ આયોજનને સફળ બનાવવામાં હોલિસ્ટિક હેલ્થ કેર સેન્ટરના સેવાભાવી સંચાલક શ્રી કનુભાઈ ગેડિયા, મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડો. પ્રકાશ કટારીયા, અમિતભાઈ જોશી તેમજ હોસ્પિટલના તમામ સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.
નોંધ: આ કેમ્પ હવે દર મહિને પુષ્ય નક્ષત્રના દિવસે નિયમિત રીતે યોજાશે. આગામી કેમ્પ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ યોજાનાર છે, જેનો લાભ લેવા સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.













Recent Comments