ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તેમજ નાગરિકોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમરેલી દ્વારા અમરેલી શહેરમાં વિવિધ સ્થળોએ સઘન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તા. ૧૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અમરેલી નગરપાલિકા વિસ્તારના લાઠી રોડ, નવા બસ સ્ટેશન સામે તથા કેરીયા રોડ વિસ્તારમાં ફરાસણ, ફાસ્ટ ફૂડ તથા અન્ય મળી કુલ ૨૩ ફૂડ બિઝનેસ ઓપરેટરોની તપાસ કરવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન આશરે ૧૦.૫ કિલોગ્રામ ફરસાણ સહિત અન્ય ખાદ્ય પદાર્થો ૧ પેકેટ બ્રેડ, ૫-પાઉ પેકેટ નો કુલ રૂ. ૨,૬૯૦નો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોને તેમના પરિસરમાં સ્વચ્છતા જાળવવા તેમજ હાઇજિનના નિયમોનું પાલન કરવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ ન્યૂઝ પેપરમાં કોઈપણ ખાદ્ય પદાર્થનું પેકિંગ ન કરવા પણ તાકીદ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, તા. ૦૬ ઓગસ્ટ, ૨૦૨૫થી તા. ૧૩ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન પ્રતિબંધિત એનાલોગ પનીર અંગે જિલ્લામાં કુલ ૪૮ એકમોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન અંદાજે ૫૧.૪ કિલોગ્રામ પ્રતિબંધિત એનાલોગ પનીર મળી આવતા આશરે રૂ. ૧૮,૬૮૫ની કિંમતનો જથ્થો જપ્ત કરી નાશ કરવામાં આવ્યો હતો. વધુમાં જિલ્લાની ૨ પેઢીઓના એનાલોગ પનીર બનાવટના પરવાના સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોમાં ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નિયમિત ચેકિંગ તથા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતી હલકી ગુણવત્તાવાળી અથવા પ્રતિબંધિત ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા એકમો સામે નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ડેઝીગ્નેટેડ ઓફીસરશ્રી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમરેલી વર્તુળની એક યાદીમાં જણાવાયું છે.


















Recent Comments