રાજ્યના ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ખજૂરી ગામે રૂ. ૯૦ લાખથી વધુના ખર્ચે નિર્મિત નવી અદ્યતન પ્રાથમિક શાળા તથા રૂ. ૧.૨૫ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા સુવિધા પથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યોના લોકાર્પણથી ખજૂરી સહિત આસપાસના વિસ્તારના નાગરિકો અને વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ સુવિધાઓનો લાભ મળશે.
આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચીંધેલી વિકાસની કેડી પર આજે અમરેલી જિલ્લો હરણફાળ ભરી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઝડપી ગતિએ વિકાસકાર્યો થઈ રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે વિકાસની સ્પષ્ટ દિશા ન હતી, પરંતુ આજે “જે ખાતમુહૂર્ત કરે તે જ જનપ્રતિનિધિ લોકાર્પણ કરે” તે વિકાસમંત્રને રાજ્ય સરકારે સફળતાપૂર્વક ચરિતાર્થ કર્યો છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ખજૂરી ગામ સામૂહિક ગ્રામચેતનાનું ઉત્તમ ઉદાહરણ છે. અહીં ગ્રામજનો અને દાતાઓના સહયોગથી ૨,૫૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જળવાયુ પરિવર્તનની અસરો સામે વૃક્ષારોપણ સૌથી અસરકારક ઉપાય હોવાનું જણાવતાં તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ચાલી રહેલા “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં થયેલા વૃક્ષારોપણમાં ખજૂરી ગામના અનન્ય યોગદાનની પ્રશંસા કરી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ અને સંસ્કાર એક સિક્કાની બે બાજુ છે. આજના વિદ્યાર્થીઓ આવતીકાલનું ભવિષ્ય છે. શિક્ષણની સાથે ઉત્તમ સંસ્કારોનું સિંચન થશે તો વિદ્યાર્થીઓ આવનારા સમયમાં દેશના આદર્શ નાગરિક બનશે. તેમણે શાળાની શૈક્ષણિક અને સહશૈક્ષણિક સિદ્ધિઓ બદલ સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
ખજૂરી પ્રાથમિક શાળામાં ધોરણ ૧થી ૮ સુધીનો અભ્યાસક્રમ ચાલે છે, જ્યાં આસપાસના ૧૨ ગામોના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. દાતાઓના સહયોગથી તૈયાર કરાયેલા શાળા ભવનમાં સ્ટેમ લેબ, કોમ્પ્યુટર લેબ તેમજ ટેબલેટ આધારિત ડિજિટલ શિક્ષણ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. શાળાના વિદ્યાર્થીઓ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં રાષ્ટ્રીય કક્ષાએ પાંચ વખત સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધારી ચૂક્યા છે.
કાર્યક્રમ દરમિયાન શાળા પરિવાર દ્વારા મંચસ્થ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અગ્રણીશ્રીઓ, શ્રી પી.વી.સાણી, શ્રી યોગેશભાઈ પાનસુરિયા, શ્રી વિપુલભાઈ વસાણી, શ્રી ચેતનભાઈ દાફડા, શ્રી શૈલેષભાઈ ઠુમ્મર, શ્રી કમલેશભાઈ, શ્રી કલ્પનાબહેન, શ્રી ચેતનભાઈ, શ્રી ગોપાલભાઈ અંટાળા, વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments