અમરેલી

ફળઝાડ પાકોનાં થયેલ નુકશાન સામે અસરગ્રસ્ત ખેડૂતોને વગર વ્યાજની લોન આપવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાબાર્ડ ને રજુઆત કરતા દિલીપ સંઘાણી

તાજેતરમાં આવેલ વિનાશકારી વાવાઝોડાએ અમરેલી, ગીર
સોમનાથ, ભાવનગર, જુનાગઢ તેમજ દક્ષિણ ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં વિનાશ વેરેલ છે. આ અસરગ્રસ્ત જિલ્લાઓમાં બાગાયતી ફળપાકોનું મોટાપાયે વાવેતર થાય છે. તેમાપણ આ વિસ્તારોમાં પાકતી કેસર કેરી જગવિખ્યાત છે. ગુજરાતમાં આવેલ આ ભયંકર વાવાઝોડાને કારણે
આંબા, નાળીયેરી, ચીકુ,લીંબુ, કેળા, પપૈયા, જામફળી, સીતાફળી, દાડમ, બોર વિગેરે બાગાયતી પાકોને નુકશાન થયેલ છે અને આ ફળઝાડનાં વૃક્ષો મુળમાંથી ઉખડી ગયેલ છે.

આવા સંજોગોમાં ખેડૂતોએ આ ફળ પાકોનું ફરીથી વાવેતર
કરવુ પડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામેલ છે. ખેડૂતોને આવતા પ થી ૭ વર્ષ આવક થઈ શકે એવી સ્થિતી નથી. આવી કપરી પરિસ્થિતીમાં અમરેલી જિલ્લા સહકારી બેંક ખેડૂતોને પોતાનો બગીચો નવેસરથી તૈયાર કરવા લોન આપવા ઉત્સુક છે. પરંતુ ખેડૂતોને લોન ઉપર વ્યાજ ભરવામાંથી મુકિત મળે તો મોટી રાહત મળી શકે તેમ છે. આથી એન.સી.યુ.આઈ. નાં ચેરમેન અને ખેડૂતલક્ષી કામગીરીમાં હમેંશા અગ્રેસર રહેતા દિલીપ સંઘાણીએ નાબાર્ડનાં ચીફ જનરલ મેનેજરને પત્ર લખી રજુઆત કરેલ છે

કે મધ્યમ મુદત અને લાંબી મુદતનાં ધિરાણો ઝીરો ટકા વ્યાજ દરે બેંકો મારફત આપવામાં આવે તો ખેડૂતો પોતાનાં ફળ ઝાડનાં બગીચા નવેસરથી ઉભા કરી શકે જેથી આવા ધિરાણો ઉપર નાબાર્ડ દ્વારા જિલ્લા સહકારી બેંકોને વગર વ્યાજે
રીફાયનાન્સ આપવામાં આવે તેવી માંગણી કરેલ છે. આ ઉપરાંત ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ પત્ર લખી નાબાર્ડ મારફત વગર વ્યાજની લોન અસરગ્રસ્ત ખેડૂતોને મળી રહે તે અંગેની ભલામણ કરેલ છે. જો આ ભલામણો સ્વીકારવામાં આવશે તો રાજયનાં અસરગ્રસ્ત ખેડૂતોને
વ્યાજ ભરવામાંથી મોટી રાહત મળશે તેમ બેંકનાં જનરલ
મેનેજર(સી.ઈ.ઓ.) બી. એસ. કોઠીયા ની યાદી જણાવે છે.

Related Posts