કોરોનાની બીજી લહેરના બે મહિના બાદ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં એઆઇએમઆઇએમના જમાલપુરના કોર્પોરેટર મોહંમદ રફીક શેખે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીને જમાલપુર વિસ્તારમાં કચરો ઉપાડવા બાબતે રજૂઆત કરતા ઉદ્ધતાઈભર્યું વર્તન અને સરખી રીતે વાત ન કરતા ઠપકો આપવા અંગે દરખાસ્ત મોકલવામાં આવી હતી. જે દરખાસ્ત મામલે મેયર કિરીટ પરમારે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને તપાસ સોંપી અને બે મહિનામાં આ અંગેનો અહેવાલ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવાનો આદેશ કર્યો હતો. કોરોનાં કાળમાં અધિકારીઓએ ફોન ન ઉપાડ્યા હોવા અંગે ઉગ્ર રજૂઆત બોર્ડમાં થઈ હતી
અધિકારીઓએ ફોન ન ઉપાડ્યાની ઉગ્ર રજૂઆત બાબતે સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, અધિકારીઓ ફોન નથી ઉપાડતા કે સંકલનનો કોઈ અભાવ હોય એવું નથી. સારી કામગીરી કરવામાં આવી છે. તેઓ વિરોધ પક્ષ છે અને વિરોધ કરવો તેમનું કામ છે. ભાજપના કોઈ કોર્પોરેટરના ફોન નથી ઉપાડ્યા એવું મારા ધ્યાને નથી આવ્યું.
સામાન્ય સભામાં કોરોના કાળ મામલે ચર્ચા થઈ હતી. જેમાં વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને આડે હાથે લીધા હતા. કોર્પોરેશનના અધિકારી કોર્પોરેટરના ફોન નથી ઉપાડતા અને મેસેજના પણ જવાબ નથી આપતા જે મામલે કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી. કોંગ્રેસના કોર્પોરેટર ઇકબાલ શેખે સભામાં રજુઆત કરી હતી કે કોરોના કાળમાં હાલમાં બદલી થયેલા અને કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ડેપ્યુટી કમિશનર (હેલ્થ) ડો. ઓમપ્રકાશની કામગીરી સારી ન હતી. ૧૦૮ની જવાબદારી દિલીપ રાણા પાસે હતી અને લોકોને બે બે કલાક સુધી દાખલ થવા ૧૦૮ મળતી નહતી. ઇન્જેક્શન, બેડ કોઈપણ સુવિધા પ્રજાને મળી ન હતી. જે મામલે કમિશનરે પોતાના ડેપ્યુટી કમિશનરોનો બચાવ કરી લીધો હતો.
Recent Comments