ગુજરાત

કડીમાં આંગડિયા પેઢીના માલિક પિતા-પુત્ર અને વ્યાજખોરોના ત્રાસથી એકાઉન્ટન્ટે આપઘાત કર્યો

નાની કડીની સંતરામ સીટી સોસાયટીમાં રહેતા અને કડીમાં એસ.રામ કોર્પોરેશન અને આંગડિયા પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં યુવાને રૂ.૧.૮૧ કરોડ હવાલાવાળી જગ્યાએ પહોંચાડવા કડીના શખ્સને આપેલાં નાણાં તેણે નહીં પહોંચાડી વિશ્વાસઘાત કરતાં જવાબદારી માથે આવી હતી તેમજ બે વ્યાજખોરોએ વ્યાજે લીધેલા પૈસા ચૂકવી દીધા બાદ પણ ઉઘરાણી કરતાં હોઇ અને પત્ની, પુત્રના પાસપોર્ટ પડાવી લેતાં તંગ આવી ઘરમાં પંખે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. આ ઘટના અંગે મૃતકની પત્નીએ કડી પોલીસ સ્ટેશનમાં આંગડિયા પેઢીના માલિક, પુત્ર સહિત ૬ શખ્સો સામે આપઘાત માટે દુષ્પ્રેરણ સહિતની ફરિયાદ નોંધાવી હતી.મૂળ માણસાના રિદ્રોલના અને હાલ નાનીકડીની સંતરામ સીટી સોસાયટીમાં રહેતાં જાગૃતિબેન નિકુંજભાઇ પટેલની ફરિયાદ મુજબ, તેમના પતિ નિકુંજભાઇ રણછોડભાઇ પટેલ (૨૬) સવારે પ્રભાવતી સ્કૂલમાં શિક્ષક તરીકે અને બપોર પછી રોનક પટેલની કડી સ્થિત એસ.રામ કોર્પોરેશન કાલાં કપાસની આંગડિયા પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા.

દસેક માસ પહેલાં નિકુંજભાઇએ તેમની પત્નીને વાત કરી હતી કે, એસ.રામ કોર્પોરેશનમાં તેમની સાથે પેઢીમાં કામ કરતાં જીતેન્દ્રભાઇ પ્રજાપતિને પેઢીના હવાલાના રૂ.૧.૮૧ કરોડ હવાલાવાળી જગ્યાએ આપવા મોકલ્યા હતા. તે પૈસા લઇને ક્યાંક જતા રહ્યા છે અને વિશ્વાસઘાત કર્યો છે. બીજી તરફ શેઠ પટેલ રોનક રામચંદ્રભાઇ અને તેમના પિતા પટેલ રામચંદ્રભાઇ હરજીવનદાસ તેમના માથે જવાબદારી નાંખી પૈસા આપવા દબાણ કરી ધાકધમકી આપતાં તેઓ માનસિક ટેન્શનમાં રહેતા હતા. જ્યારે આઠેક મહિના પહેલાં એવી પણ વાત કરેલી કે, રોનકે ધમકી આપી ૧૦ કોરા ચેકમાં સહી લીધી છે. બાદમાં ઘરના સભ્યોને બોલાવી રસ્તો કાઢવાની વાત થતાં જાગૃતિબેનના જેઠ, નણંદ, નણંદોઇ, સસરા વગેરે આવતાં અજયસિંહ જાડેજાની ગંગોત્રી હોટલે રામચંદ્ર પટેલ, રોનક પટેલ, અજયસિંહ જાડેજાને મળ્યા હતા. જેમાં આ શખ્સોએ ધમકી આપેલી અને તેણીના પતિ, જેઠ, નણંદોઇ રોનક પટેલ સાથે કડી ગયેલા અને નોટરીરૂબરૂ પ્રોમીસરી નોટ લખાવી લઇ મકાનનો દસ્તાવેજ કરાવી દીધો હતો અને પાસપોર્ટ પણ લઇ લીધા હતા.ફરિયાદ મુજબ, દોઢેક મહિના પહેલાં જાગૃતિબેનને તેણીના પતિ નિકુંજે જણાવેલું કે, તપોવન કોમ્પલેક્ષના ભાવેશ પટેલ પાસેથી ૪૦ ટકા વ્યાજે રૂ.૬૦ હજાર લીધા હતા, તેમાંથી ૩૦ હજાર આપી દીધા છે, છતાં રૂ.૮૦ હજારની ઉઘરાણી કરે છે અને ઇરાણાવાળા પ્રયંક ગઢવીને રૂ.૬૦ હજાર આપી દીધા છતાં રૂ. એક લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકીઓ આપે છે.

દરમિયાન, જાગૃતિબેન પિયર ખેરવા ગામે ગયાં હતાં, ત્યારે પતિ નિકુંજ ઘરે એકલા હોઇ તા.૧૩મીની રાત્રે ૮ થી તા.૧૪મીની સવારે પંખે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મ હત્યા કરી લીધી હતી. ફોન ઉપાડતાં ન હોઇ પાડોશી પાસે તપાસ કરાવતાં અંદરથી દરવાજાે બંધ હોઇ તેઓ પરત ઘરે આવી દરવાજાે તોડતાં પતિ પંખે મૃત હાલતમાં લટકતા હોઇ કડી પોલીસને જાણ કરી હતી. આ બનાવ અંગે મૃતકની પત્ની જાગૃતિબેન પટેલની ફરિયાદ આધારે કડી પોલીસે રોનક પટેલ સહિત ૬ શખ્સો વિરુદ્ધ કલમ ૩૦૬, ૪૦૮, ૩૮૪, ગુજરાત નાણાં ધીરધાર કરવા બાબત અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. મૃતકે સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં હવે મારી જિંદગીનો કોઇ ભરોસો નથી. મારા પરિવાર ઉપર જાેખમ છે એટલે આ પગલું ભરું છું તેવું લખાણ લખેલું છે. નામો પણ લખેલા છે.

Related Posts