અમરેલી

આગામી તા.૨૭ એપ્રિલ સુધી જિલ્લામાં “સ્વાગત સપ્તાહ” કાર્યક્રમ યોજાશે

પ્રધાનમંત્રીશ્રી અને તત્કાલિન ગુજરાત રાજ્ય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગુજરાત રાજયમાં સ્વાગત કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને એપ્રિલ-૨૦૨૩માં વીસ વર્ષ (SWAGAT@20) પૂર્ણ થઇ રહ્યા છે.રાજય સરકાર દ્વારા SWAGAT@20 નિમિત્તે એપ્રિલ માસના ચોથા સપ્તાહને “સ્વાગત સપ્તાહ” તરીકે ઉજવવાનું નિયત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના લોકાભિમુખ વહીવટથી નાગરિકો અવગત થાય અને તેનો મહત્તમ લાભ મેળવી શકે તે ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા પુખ્ત વિચારણાના અંતે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમો યોજવામાં આવશે. મહત્વનું છે કે, નાગરિકોના પ્રશ્નોનું ગુણાત્મક રીતે નિરાકરણ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા SWAGAT@20 નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આવે તે પ્રશ્નોનું ત્વરાથી હકારાત્મક રીતે  નિરાકરણ થાય તે માટે વિશેષ પ્રયાસ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે.

મહત્વનું છે કે, આગામી તા.૨૭ એપ્રિલ, ૨૩ને ગુરુવારના રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રીના અધ્ક્ષસ્થાને રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત સ્વાગત કાર્યક્રમ વધુ સુદ્રઢ બને અને તેનો લાભ છેવાડાના નાગરિકોને અસરકારક રીતે મળી રહે તે માટે જિલ્લા કક્ષાએથી ગ્રામ્ય અને તાલુકા સ્વાગત કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવશે. અમરેલી જિલ્લામાં યોજાનાર સ્વાગત સપ્તાહ કાર્યક્રમના આયોજન અર્થે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વડીયા ખાતે કલેકટરશ્રી, ખાંભા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જાફરાબાદ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, બાબરા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી, લીલીયા ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી, રાજુલા ખાતે ધારી પ્રાંત અધિકારીશ્રી, ધારી ખાતે રાજુલા પ્રાંત અધિકારીશ્રી, લાઠી ખાતે સાવરકુંડલા પ્રાંત અધિકારીશ્રી, સાવરકુંડલા ખાતે લાઠી પ્રાંત અધિકારીશ્રી, અમરેલી ખાતે બગસરા પ્રાંત અધિકારીશ્રી અને બગસરા ખાતે અમરેલી પ્રાંત અધિકારીશ્રી ઉપસ્થિત રહેશે.

Related Posts