વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાના નેતૃત્વમાં કોંગ્રેસના આગેવાનોએ મુલાસણા ગામે પાંજરાપોળની ૨૦ હજાર કરોડની કિંમતની ૬૦ લાખ ચોમીટર જમીન ગેરકાયદેસર રીતે બિલ્ડરોને પધરાવી તે કૌભાડમાં અધિકારીઓને જૈલમાં પૂર્યા પરંતુ મોટા નેતાઓની મિલીભગતથી બિલ્ડરો આજે પણ એ જમીન પર બેફામ બાંધકામ કરી રહ્યા છે . જમીનને મૂળ સ્થિતિમાં પાછી લાવવા અને ગણોતિયાઓના અધિકાર મળે તે લડત લડતા મુલાસણા ગામના ખેડૂતોની મુલાકાત લઈને અસરગ્રસ્ત પરિવારોને અને જમીન પર થતા ગેરકાયદેસર બાંધકામની પણ જાત માહિતી મેળવી હતી. એજ પ્રમાણે ઓલમ્પિક વિલેજના નામે કોઈપણ જાતના જમીન સંપાદન અધિનિયમ વિના ગોધાવી તથા મણીપુરની જમીન ગુમાવેલા ખેડૂતોની અને તેમના પરિવારની પણ વ્યથા સાંભળી હતી અને ઘટતું કરવાની હૈયાધારણ આપી હતી.
વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ચારેય તરફ ભ્રષ્ટાચારને કારણે લોકોના હક અધિકાર છીનવવામાં આવી રહ્યા છે, ઉઘાડી લુંટ ચાલી રહી છે, ભૂમાફિયાઓ બેફામ બન્યા છે, મુખ્યમંત્રી કાર્યાલયથી શરુ કરી નીચેના અધિકારીઓ સુધીના લોકોની સંડોવણીથી આજે મુલસાણા હોય કે આજુબાજુના દસ ગામની ચાર ચાર પેઢીઓથી જેઓ ખેતી કરતા હતા, તેમનું ગુજરાન ચાલતું હતું, તેવી ગાયો માટેની જમીન આ આંખલાઓ આજે ચરી રહ્યાં છે.
મુલસાણા આસપાસની લગભગ ૬૦ લાખ ચોરસ મીટર જગ્યા જેની માર્કેટ વેલ્યુ ૨૦,૦૦૦ કરોડ રૂપિયા કરતાં પણ વધુ થાય તેવી કિંમતી જમીન તમામ કાયદા, નીતિ, નિયમોનું ઉલ્લંઘન કરી સરકારમાં બેઠેલા લોકોના મેળાપીપણાથી ખેડૂતો પાસે બંદુકવાળા લોકો,પોલીસ,પ્રશાસન દ્વારા દાદાગીરી કરી કબજો મેળવી કૌભાંડ કરવામાં આવ્યું છે. જમીન ટોચ મર્યાદાનો કાયદો હોય, ચેરિટી કમિશનરની મંજૂરી ન હોય, ગણોતના તમામ હક હતા એને નજરઅંદાજ કરવામાં આવે, તમામ અભિપ્રાયો નકારાત્મક હોવા છતાં દ્ગછ ની પરમિશન આપવામાં આવે, ખોટા દસ્તાવેજો થાય અને ગરીબ ખેડૂતોની પાંજરાપોળ – ગાયોની જમીન આજે મોટા બિલ્ડરોને પધરાવી દેવામાં આવે. લોકો લડી રહ્યા છે. તપાસ થાય, અધિકારીઓને જેલમાં મોકલવામાં આવે, પણ તેના માટે જે આદેશો આપવા વાળા મુખ્યમંત્રી હોય, કૃષિમંત્રી હોય, સચિવ હોય, તેઓ આજે પણ મહેલોમાં બેસીને જલસા કરી રહ્યાં છે.
આ વિજયભાઈ રૂપાણીની સરકારનું જ કૌભાંડ છે તેવું નહિ, આ કૌભાંડને આગળ વધારવાનું કામ આ ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકારે પણ કર્યું છે. વિજયભાઈ રૂપાણીની સરકારે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી આ જમીન બિલ્ડરોને પધરાવી ખેડૂતોને જમીન વિહોણા કર્યાં. આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે એગ્રિકલ્ચર ઝોન હતો, ખોટી રીતે જમીનની ફાળવણી થઈ હતી, મંજૂરીઓ મળી હતી તેના તપાસ રિપોર્ટ આવ્યા હતા, અધિકારીઓ સામે કાર્યવાહી થઈ હતી તેમ છતાં પણ કરોડો રૂપિયા ચુંટણીમાં લઈ આ જમીનોને એગ્રિકલ્ચર ઝોનમાંથી કોમશિર્યલ ઝોનમાં ફેરવી આપવાનું જો કોઈ કામ કર્યું હોય તો આ ભૂપેન્દ્રભાઈ પટેલની ભાજપ સરકારે કર્યું છે.
જે ખેતરમાં આજે જે ખેડૂત ખેતી કરે છે તે ખેડૂતને તેના ખેતરમાં પણ જવા દેવામાં આવતો નથી અને જાય તો એના માથા પર બંદૂક મૂકવામાં આવે છે એની સામે ખેડૂતો લડી રહ્યા છે. હું સરકારને પણ ચેતવણી આપવા માગું છું. ગુજરાતમાં જે ગાયોના નામે જમીન છે. જે ગૌચરો છે, જે ખેડૂતોની, ગણોતિયાઓની જમીન છે તેનો તમે વ્યાપાર કરો છે, મૂડીપતિઓને પધરાવી રહ્યાં છે, કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર થયો છે તેમાં હવે રૂક જાઓ કહેવાનો સમય આવી ગયો છે અને ખેડૂતોએ તે માટેનો સંકલ્પ પણ કર્યો છે. આવનારા દિવસોમાં જો સરકાર આ આખા મુલાસણા પ્રકરણનો રિપોર્ટ આવ્યો છે, તે મુજબ જમીનને ફરી મૂળ સ્થિતિએ નહિ લાવે, ગણોતિયાઓને હક નહિ આપે તો આવનારા થોડા દિવસોની અંદર આ જ ગામના ખેડૂતોને સાથે રાખી “ગાય બચાવો, ગૌચર બચાવો”, “ખેડૂતોને તેમનો હક અધિકાર આપો” નારા સાથે તમામ ખેડૂત પરિવારો તેના ઢોર ઢાંખર સાથે ગાંધીનગર તરફ કૂચ કરશે અને વિધાનસભાએ પહોંચી ન્યાય માંગશે.
ગાય અને હિન્દુના નામે મત લીધા, સત્તા પર બેઠા. હવે ડબલ એન્જિનની સરકાર છે છતાં ગાયોના મોંઢાનો ચારો છીનવવાનું બંધ કરો, ગરીબ ખેડૂત – અન્નદાતાને તેનો હક આપો. ઉપરોક્ત ખેડૂતોના હક અધિકારની ન્યાયની લડતમાં વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની આગેવાનીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઓબીસી સેલના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ કડીના પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એસ સી સેલના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાન દિપસિંહ ઠાકોર, પ્રદેશ કોંગ્રેસ મીડિયા કન્વીનર અને પ્રવક્તા મનીષ દોશી મીડિયા કો કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ સહિત ખેડૂત હિત રક્ષક સમિતિના મોટી સંખ્યામાં આગેવાન અને કાર્યકર્તાઓ જોડાયા હતા


















Recent Comments