ભાવનગર

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવીને સમૃદ્ધિના માર્ગ તરફ આગેકુચ કરી

ભાવનગર તાલુકાના વાવડી (રાજગોર) ગામના એક ખેડૂત છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી દ્વારા વિદેશી શાકભાજી જેવા કે લાલ કોબીજ, ગાંઠ કોબી અને બ્રોકોલીના ઉત્પાદનો ભાવનગર અને અમદાવાદમાં વેચી સારી એવી આવક મેળવી રહ્યા છે.

વાવડી ગામના ખેડૂત શ્રી જેન્તીભાઈ ચૌહાણે આજથી આઠ વર્ષ પહેલાં આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને બાગાયતી સેમિનાર દ્વારા પ્રાકૃતિક ખેતીથી માહિતગાર થયા હતા. ત્યારબાદ તેમણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.

વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી થકી વર્ષે એક સાથે અનેક પાક લેતા થયા છે. ગાય આધારિત ખેતીમાં તેઓ ગાયનું છાણ, ગૌમૂત્ર, જીવામૃત અને પંચામૃત બનાવીને તેનો છંટકાવ કરે છે, જેના કારણે ઉત્પાદન પણ સારું મળે છે. આ ઉત્પાદનનું તેઓ અમદાવાદમાં આવેલ મીઠી વીરડી પ્રાકૃતિક જૂથ દ્વારા અને ભાવનગરના અમૃત બજારમાં વેચાણ કરે છે.

તેમણે જણાવ્યું હતું કે, આપણા રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ આગવું પ્રદાન કરી રહી છે. આ ઉપરાંત બાગાયત ખાતાના અધિકારીઓ, આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ પણ અવારનવાર અમારા ખેતરની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી અંગેની સમસ્યાનું નિવારણ લાવે છે.

આ ઉપરાંત આઠ વર્ષમાં સંખ્યાબંધ ખેડૂતો તેમના ખેતરની મુલાકાત લઈ ચૂક્યા છે તેમજ તેમનાં પ્રાકૃતિક ખેતીના માર્ગદર્શન થકી તેઓ પણ લાખેણી આવક મેળવતા થયા છે.

Related Posts