ભાવનગર

ભાવનગર શહેર તથા જિલ્લામાં યોજાનારી ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા સંદર્ભે ‌અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

ભાવનગર શહેર તથા જિલ્લામાં આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૩/૨૦૨૫ દરમ્યાન એસ.એસ.સી./એચ.એસ.સી.ની પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યામિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર છે. ધોરણ-૧૦ (એસ.એસ.સી.)ની પરીક્ષા તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૦/૦૩/૨૦૨૫ સમય ૧૦:૦૦ થી ૦૧:૧૫, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૩/૨૦૨૫ સમય ૧૦:૩૦ થી ૦૧:૪૫ અને ૦૩:૦૦ થી ૦૬:૧૫ તેમજ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૦/૦૩/૨૦૨૫ સમય ૦૩:૦૦ થી ૦૬:૩૦ પરીક્ષાનો સમય છે.

આ પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે, પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજીક ગુંડાતત્વો એકઠા થઈ પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહિ તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જાહેર હિતમાં ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ તેમને મળેલી સત્તાની રૂએ પરીક્ષાઓના દિવસો દરમિયાન ભાવનગર જિલ્લા ખાતેના નિયત કરેલા પરીક્ષા કેન્દ્રો ઉપર  દર્શાવેલ સમય દરમિયાન નીચે મુજબનાં પ્રતિબંધો ફરમાવ્યાં છે.

જેમાં (૧) પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનરનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનર મશીનના ઉપયોગ પર (૨) પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર (૩) પરીક્ષા કેન્દ્રોમાં મોબાઈલ ફોન કે અન્ય ઈલેક્ટ્રોનીકસ ગેઝેટ લઈ જવા તથા તેના ઉપયોગ પર (૪) પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રિજ્યામાં ૪ (ચાર) કે તેથી વધુ માણસો એકઠા થવા પર અને (૫) પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઇ અનઅધિકૃત વ્યક્તિએ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

સદરહું જાહેરનામું ઉક્ત જણાવ્યા મુજબના પરીક્ષા કેન્દ્રો ઉપરાંત જો નવા પરીક્ષા કેન્દ્રો જાહેર થશે તો તેને પણ લાગુ પડશે. જેને પરીક્ષા દરમ્યાન સોંપાયેલી ફરજના ભાગરૂપે/ કામગીરી અર્થે જરૂરી હોય અથવા સક્ષમ કક્ષાએથી એવું ફરમાવેલ હોય તેમને આ જાહેરનામામાં જણાવેલ ક્રમ નં.૩ અને ૪ ના પ્રતિબંધો લાગુ પડશે નહિ.

સદરહું જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતીય ન્યાય‌ સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ સજા થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા અને ફોજદારી કામ માંડવા માટે ફરજ પરના કોઈપણ હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યાં છે.

Follow Me:

Related Posts