અમરેલી, તા.૧૧ એપ્રિલ, ૨૦૨૫ (શુક્રવાર) ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી તા. તા.૧૨ એપ્રિલે,૨૦૨૫ના રોજ અમરેલી જિલ્લામાં CGMS પરીક્ષા-૨૦૨૫નું આયોજન છે.
જિલ્લામાં અમરેલી, બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, કુંકાવાવ, લાઠી, લીલીયા, રાજુલા, સાવરકુંડલા તાલુકાના ૭૦ કેન્દ્રો પર CGMS પરીક્ષા-૨૦૨૫ યોજાશે. જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ અને તંદુરસ્ત માહોલમાં પારદર્શિપણા સાથે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અમરેલી જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.
આાગમી તા.૧૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક બાબતો થઈ શકશે નહિ. પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રિજ્યા વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ-ફેકસનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.
પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુ ટુથ, ઈયર ફોન, કેમેરા, લેપટોપ લઇ જવા પર અને પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની હદની અંદરના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠાં થવાં પર પ્રતિબંધ છે.
પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત્ત વ્યક્તિ સિવાય અનઅધિકૃત્ત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષાર્થી કે પરીક્ષા સાથે સંકળાયેલા કોઈ પણ કર્મચારી તેઓના મોબાઈલ પરીક્ષા બિલ્ડિંગમાં લઈ જઈ શકશે નહિ.
અનિવાર્ય સંજોગોમાં સ્થળ સંચાલક પોતાનો મોબાઈલ લઈ જઈ શકશે પરંતુ મોબાઈલ જે-તે સંસ્થાના આચાર્યશ્રીના રુમમાં, સેફ કસ્ટડીમાં રાખી તેનો દુરુપયોગ ન થાય તેની તકેદારી રાખવાની રહેશે.
આ ઉપરાંત કોઈ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહિ, પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ પણ વસ્તુ ઈલેક્ટ્રોનિક આઈટમ/પુસ્તક, કાપલીઓ, મોબાઈલ ફોન, ઝેરોક્ષ નકલનું વહન કરવું નહિ કે કરાવવામાં મદદગારી કરવી નહિ પરીક્ષા સ્થળના આસપાસના વિસ્તારમાં પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે તે માટે લાઉડ સ્પીકર ઉપયોગ પર પ્રતિબંધિત રહેશે.
પરીક્ષા દરમિયાન દરેક કેન્દ્રના સંચાલકોએ શાળામાં ઝેરોક્ષ મશીન, સ્કેનર સીલ કરીને રાખવાના રહે, જિલ્લા શિક્ષણાધિકારીએ આ અંગે ખરાઈ કરી અને આ બાબતનું પ્રમાણપત્ર કેન્દ્રના સંચાલક પાસેથી અચૂક મેળવી લેવું.
આ હુકમ તા.૧૨ એપ્રિલ, ૨૦૨૪ના રોજ સવારે ૯.૩૦ કલાકથી સાંજે ૬.૩૦ કલાક સુધી અમલી રહેશે. આ જાહેરનામાનો ઉલ્લંધન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ સજાપાત્ર છે.
જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંબંધિત દરેક પરીક્ષાના કેન્દ્રના કેન્દ્ર સંચાલકશ્રીઓ તથા અમરેલી જિલ્લા પોલીસ સ્ટેશનના થાણા અધિકારીશ્રીઓને અધિકૃત્ત કરવામાં આવ્યા છે.
પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ, સંચાલનના કામ માટે ફરજ પર રોકાયેલા અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, જાહેર માર્ગ પર પસાર થતાં વાહનોમાં બેસેલા મુસાફરો, સ્થાનિક સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, તાલુકા મામલતદારશ્રીને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે.
Recent Comments