અમરેલી

રાજવી ડૉ. બારીન્દ્રભાઈ દેસાઈનાં જન્મ દિવસે ગોપાલગ્રામ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને “રાઈટિંગ પેડ” વિતરણ

ઢસા નાં પ્રજાવત્સલ રાજવી અને સ્વાતંત્ર્યસેનાની પૂ. ભક્તિબા અને પૂ. દરબાર સાહેબ ગોપાળદાસ દેસાઈનાં અમેરિકા સ્થિત સુપૂત્ર, ગામનાં ગૌરવસમા વતનપ્રેમી વડીલ, ઉદારદિલ દાતાશ્રી આદરણીય ડૉ. બારીન્દ્રભાઈ દેસાઈ સાહેબનાં ૯૫ વર્ષ પૂર્ણ થતાં તેમનાં જન્મ દિવસ અવસરે ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા ગામમાં અભ્યાસ કરતાં સૌ વિદ્યાર્થીઓને કોઠી આઈસ્ક્રીમ ખવડાવવામાં આવ્યો તેમજ બાલવાટિકા તથા કુમાર-કન્યા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ૧૮૧ વિદ્યાર્થીઓને લખવા માટે ઉપયોગી એવાં રાઈટિંગ પેડ (એક્ઝામ પેડ)નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટનાં સેક્રેટરી કિર્તીકુમાર ભટ્ટ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ, પ્રમુખ શંભુભાઈ વાડદોરિયાએ રાજવી પરિવારનાં ત્યાગ અને શિક્ષણપ્રેમની વાતો કહી હતી, ટ્રસ્ટી વિપુલ ભટ્ટીએ ૯૫ વર્ષીય પ્રિન્સ ડૉ. દેસાઈ સાહેબ નિરામય સ્વાસ્થ્ય સાથે શતાયુ થાય એવી પ્રાર્થના કરી હતી. 

દરબાર ગઢ ખાતે સાદગી પૂર્ણ રીતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતનાં ઉપસરપંચ ગૌતમભાઈ વાળા, સંસ્થાનાં શંભુભાઈ વાડદોરિયા, ચુનીભાઈ ગજેરા, રમણિકભાઈ ઠુમ્મર, દેવરાજભાઈ વાઘેલા, વિપુલ ભટ્ટી, કિર્તી ભટ્ટ, ડૉ. વાળા સાહેબ, સંજય વાડદોરિયા, શાળાનાં આચાર્ય-શિક્ષકો મેધાબેન પંડ્યા, દેવેન ભટ્ટ, મોનિક ડોબરિયા, રજનીકાંત દાફડા, દિવ્યાબેન અજાણી, શ્રદ્ધાબેન માધડ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.  ડૉ. દેસાઈ પરિવારે તાજેતરમાં વતનની મુલાકાત લીધી હોય, તેમની યાદમાં દરબાર ગઢમાં બાળકો કિલ્લોલ કરતાં જોવા મળ્યાં હતાં.

Related Posts