મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ તેમજ ગુજરાત જાહેર વહીવટી સેવામાં પસંદગી પામેલા પાટીદાર યુવાનોનો સન્માન સમારોહ અમદાવાદ સ્થિત સરદારધામ ખાતે યોજાયો હતો. સૌ પ્રથમ મુખ્યમંત્રીશ્રીએ પરિસરમાં રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત યુવાનોને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરદાર સાહેબે દેશી રજવાડાઓને એક કરી ‘એક ભારત’નું નિર્માણ કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘શ્રેષ્ઠ ભારત’ના નિર્માણનું બીડું સાકાર કર્યું છે. રાષ્ટ્રની સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં તથા રાષ્ટ્રીય હિત માટે આકરા નિર્ણયો લેવામાં શ્રી નરેન્દ્રભાઈ કોઈ કચાશ નહીં છોડે એમ તેમણે દૃઢતાપૂર્વક જણાવ્યું હતું.
શ્રી પટેલે કહ્યું કે ભાવિ પડકારોને પહોંચી વળવા તથા ‘બેક ટુ બેઝિક’ના મંત્ર સાથે વિકાસ કરવાનો આપણો ધ્યેય છે. બદલાતા સમયને અનુરૂપ નવીનતા તેમજ બદલાતી ટેકનોલોજી સાથે ભારત અને ગુજરાત આગળ વધી રહ્યા છે. ગુજરાતમાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન થવું તમામ ગુજરાતીઓ માટે ગર્વ લેવાની બાબત છે એમ તેમણે ઉમેર્યું હતું.
વિકસિત ભારતના અભિયાનને સ્વાતંત્ર્ય અભિયાન સાથે જોડી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આપણને આઝાદીના આંદોલનમાં જોડાવાનો અવસર નથી મળ્યો, પરંતુ વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના અભિયાનમાં આપણે ચોક્કસ જોડાઈએ. નાનો પ્રયાસ મોટા પરિવર્તનની શરૂઆત છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ‘એક પેડ મા કે નામ’ અને ‘જળસંચય’ સહિતના અભિયાનોમાં જોડાવા અપીલ કરી હતી.
તેમણે કહ્યું કે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં બનતી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓના કેન્દ્રમાં છેવાડાના માનવીના વિકાસનો ખ્યાલ છે. જેને સાકાર કરવામાં સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા યુવાનો અસરકારક યોગદાન આપી શકશે. મુખ્યમંત્રીશ્રીએ સમાજ અને સરકારના પરસ્પર સહયોગથી બમણી ગતિએ વિકાસ થશે તેવો આશાવાદ વ્યક્ત કરી સમગ્ર આયોજન બદલ સરદારધામ સંસ્થાની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે UPSCમાં સફળ થનાર ચાર પાટીદાર યુવાનો શ્રી મિતુલ પટેલ, શ્રી ઉત્સવ જોગાણી, શ્રી રાજન જાલોત્રા, શ્રી તુષાર મેંદપરાને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથોસાથ પૂર્વ IAS ઓફિસર્સ અને હાલ સરદારધામ સાથે સંકળાયેલા શ્રી ટી.જી. ઝાલાવડીયા, શ્રી સી.એલ. મીણા, શ્રી કૃષ્ણકુમાર જાલાન તેમજ શ્રી શર્માનું સન્માન કરવામાં આવ્યું હતું. તથા સરદારધામ સંસ્થાની શૈક્ષણિક અને સામાજિક પ્રવૃતિઓમાં ઉદાર હૃદયે દાન આપનાર દાતાશ્રીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અવસરે વિશ્વસ્તરે કરાટે સ્પર્ધામાં ભારતનું નામ રોશન કરનાર સુશ્રી અમાયરા પટેલને પણ મુખ્યમંત્રીશ્રીએ સન્માનપત્ર એનાયત કરી અભિનંદન પાઠવ્યા હતા.
Recent Comments