અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના લીધે થયેલા નુકશાન અને ઓપરેશન સિંદૂરના પગલે સર્જાયેલી સ્થિતિને કારણે આકસ્મિક સંજોગોમાં નાગરિકોના બચાવ માટેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા અમરેલી જિલ્લાના પ્રભારી સચિવ શ્રી સંદીપ કુમારે કરી હતી.
આ સાથે પ્રભારી સચિવશ્રી સંદીપ કુમારે પીવાના પાણી, હિટવેવ અને પ્રિ-મોન્સૂન સહિતની કામગીરીની સમીક્ષા કરી હતી.
અમરેલી જિલ્લા પંચાયત ભવન ખાતે યોજાયેલ આ બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ, જિલ્લામાં કમોસમી વરસાદના પગલે વિવિધ ખેત પાકોને થયેલા નુકશાનનો પ્રાથમિક અંદાજ મેળવ્યો હતો.
જિલ્લામાં પીવાના પાણી, જળાશયોમાં ઉપલબ્ધ જથ્થો, હિટવેવમાં નાગરિકો અને પશુઓની તંત્ર દ્વારા લેવાની થતી કાળજી સંદર્ભે જરુરી દિશાનિર્દેશો આપ્યા હતા. પીવાના પાણી માટે સ્થાનિક સ્ત્રોત પર નિર્ભર ગામડાંઓમાં પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા માટે નિયમિત રીતે ટેસ્ટિંગ કરવા માટે સૂચના આપી હતી. જિલ્લામાં ગયા વર્ષે થયેલા વરસાદ અને હાલ જિલ્લાના વિવિધ જળાશયમાં પાણીનો ઉપલબ્ધ જથ્થા વિશે પણ જિલ્લા પ્રભારી સચિવશ્રીએ વિગતો મેળવી હતી.
કમોસમી વરસાદને પગલે જિલ્લામાં થયેલાં પ્રાથમિક અંદાજોની વિગતો આપવાની સાથે જિલ્લાના રસ્તાઓ શરુ રહે અને જિલ્લાના તમામ ગ્રામ્ય-શહેરી વિસ્તારોમાં સાતત્યપૂર્ણ વીજ પુરવઠો રહે તે માટે અનુક્રમે માર્ગ અને મકાન તેમજ વીજ તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, જિલ્લામાં માર્ગ અને વીજ પુરવઠો પૂર્વવત થયો હોવાની વિગતો ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાએ આપી હતી. પ્રિ – મોન્સૂન સંદર્ભે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી પૂર્વ તૈયારીઓ વિશે પણ તેમણે પ્રભારી સચિવશ્રીને અવગત કર્યા હતા.
અમરેલી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથેની આ બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ જિલ્લાની દરિયાઈ સરહદે જરુરી સુરક્ષા વ્યવસ્થાઓ સંદર્ભે સાવચેતી રાખવા અર્થે કરવાના થતાં કાર્યો વિશે જણાવ્યું.
ઓપરેશન સિંદૂરના પગલે સર્જાયેલી સ્થિતિને કારણે આકસ્મિક સંજોગોમાં નાગરિકો ઉપરાંત વિશેષ તો પશુઓ અને બાળકોના બચાવ માટેની નિયત માર્ગદર્શિકાઓ અને પ્રયુક્તિઓથી નાગરિકોને અવગત કરવા સૂચના સાથે બ્લેકઆઉટ વિશે પણ જરુરી પરામર્શ કરવામાં આવ્યો હતો.
નાગરિકો સુધી સાચી અને યોગ્ય વિગતો પહોંચે અને નાગરિકો સજાગ રહે તે માટે જરુરી પગલાં ભરવામાં આવે તે માટે પણ તેમણે સંબંધિત કચેરીઓના વડાશ્રીઓને સૂચનાઓ આપી હતી. પ્રભારી સચિવશ્રીએ આરોગ્ય વ્યવસ્થા અને ઉપલબ્ધ સુવિધાઓ બાબતે પણ જરુરી વિગતો મેળવી હતી.
પ્રભારી સચિવશ્રીએ, આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે અને ગેરકાયદે સંગ્રહખોરો વિરુદ્ધ જરુરી તપાસ અને કાર્યવાહી કરવા અને જિલ્લામાં ગેસ અને પેટ્રોલ ડિઝલનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે તે માટે તકેદારી લેવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
આ સંદર્ભમાં ઇન્ચાર્જ કલેક્ટરશ્રીએ, નાગરિકોની સુરક્ષા માટે તાલુકા વાર એક્શન પ્લાન બનાવવા અને અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ એલર્ટ રહી હેડ ક્વાર્ટરમાં ઉપસ્થિત રહેવા સૂચના આપી હતી.
નિવાસી અધિક કલેકટર શ્રી દિલીપસિંહ ગોહિલે આ બેઠકની રુપરેખા જણાવી હતી. બેઠકમાં, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી જાડેજા, અમરેલી પ્રાંત અધિકારી શ્રી નાકિયા, લાઠી – બાબરા પ્રાંત અધિકારી શ્રી નીરવ બ્રહ્મભટ્ટ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પણ ચાવડા, તાલુકા અને શહેર મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ફાયર, આરોગ્ય, પંચાયત, પ્રાથમિક શિક્ષણ, શિક્ષણ, આયુર્વેદ, એસ.ટી. પાણી પુરવઠા, વાસ્મો, ખેતી, પોલીસ, આપત્તિ વ્યવસ્થાપન, પશુપાલન, મત્સ્યોદ્યોગ, વીજ, સમાજ કલ્યાણ સહિત વિવિધ કચેરી અને શાખાઓના અધિકારીશ્રીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા.
Recent Comments