અમરેલી

ડેટા રેકોર્ડિંગ માટે સમય, જીપીએસ લોકેશન, ચિન્હો, ફોટા, મુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણજી.આઈ.એસ અને સ્ટેસ્ટીકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રિકરણ, સંકલન, નિષ્કર્ષણ, આલેખન

અમરેલી તા. ૧૩ મે, ૨૦૨૫ (મંગળવાર) રાજ્યના ૧૧ જિલ્લાઓમાં તા.૧૦ થી ૧૩, મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી થઇ રહી છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ જિલ્લાનો સમાવેશ થાય છે.

ધારી ગીર પૂર્વ વન વિભાગ (રીજીયન) અંતર્ગત સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં રીજનલ અધિકારી, ઝોનલ અધિકારી, ગણતરીકાર, ઓબ્ઝર્વર સહિત કુલ ૫૧૧ સ્વંય સેવકો સિંહ વસ્તી અંદાજની કામગીરીમાં જોડાયા છે.

સિંહ વસ્તી અંદાજ માટે એશિયાટીક લાયન લેન્ડસ્કેપ મુજબ કુલ ૩૫,૦૦૦ ચો. કિમી નો વિસ્તાર કવર કરવામાં આવશે. આ માટે કુલ ૧૧ જિલ્લા અને ૫૮ તાલુકા, ૮ રીજીયન, ૩૨ ઝોન અને ૧૧૨ સબ ઝોનમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે.

૧૬મી સિંહ વસ્તી અંદાજ કામગીરી અન્વયે વન વિસ્તારમાં બીટ અને વન વિસ્તારની બહાર ૩-૧૦ ગામોનું જૂથ મુજબ કામગીરી હાથ ધરવામાં આવી છે. અવલોકન રેકોર્ડિંગ માટે ૨૪ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જેમાં પ્રાથમિક અંદાજ અને આખરી અંદાજ કામગીરી કરવામાં આવી રહી છે.

ડેટા રેકોર્ડિંગ માટે સમય, જીપીએસ લોકેશન, ચિન્હો, ફોટા, મુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યુ છે, સહિતની વિગતો નોંધવામાં આવી છે. જી.આઈ.એસ અને સ્ટેસ્ટીકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રિકરણ, સંકલન, નિષ્કર્ષણ, આલેખન કરવામાં આવી રહ્યુ છે. અંતે ડેટા વિશ્લેષણ બાદ સિંહની વસ્તીનો આખરી અંદાજ અહેવાલ તૈયાર કરવામાં આવશે.

 ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. ગુજરાતમાં સૌપ્રથમ વર્ષ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. ૧૬મી સિંહ વસ્તી ગણતરી અંદાજ માટે મોડર્ન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ ખુબ ઉપયોગી પદ્ધતિ છે. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ ૧૦૦ ટકા ચોકસાઈ મળે છે તેમજ માનક ભૂલનો અવકાશ લગભગ રહેતો નથી. ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તારો, રેવન્યુ વિસ્તારોમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે.

૧૬મી સિંહ વસ્તી અંદાજ – ૨૦૨૫ કામગીરી અન્વયે કુલ ૮ રીજીયનમાં રીજનલ અધિકારીશ્રી, ઝોનલ અધિકારીશ્રી, સબ ઝોનલ અધિકારીશ્રી, ગણતરીકાર શ્રી, મદદનીશ ગણતરીકાર શ્રી, ઓબ્ઝર્વર શ્રી, સ્વંય સેવકો સહિત અંદાજે કુલ ૨૯૦૦ થી વધુનું માનવબળ ફરજ બજાવી રહ્યુ  છે. 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા સિંહ  સંરક્ષણના પરિણામે રાજ્યમાં ઉત્તરોત્તર સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે.

રાજ્યમાં સૌપ્રથમ વર્ષ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ ૧૯૯૫માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને કુલ ૩૦૪ જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ ૨૦૦૧માં કુલ ૩૨૭, વર્ષ ૨૦૦૫માં કુલ ૩૫૯, વર્ષ ૨૦૧૦માં કુલ ૪૧૧, વર્ષ ૨૦૧૫માં કુલ ૫૨૩ અને છેલ્લે વર્ષ ૨૦૨૦માં કુલ ૬૭૪ જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે. 

Related Posts