ઓક્ટોબર 2025 છેલ્લા અઠવાડિયામાં થયેલ કમોસમી વરસાદના કારણે પાક નુકસાની અંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીની સીધી સૂચના અને માર્ગદર્શનમાં અસરગ્રસ્ત ગામોમાં વિલેજ
યુનિટ ગણીને પાક નુકસાની સર્વે અંગે કામગીરી શરૂ કરવામાં આવી છે.
ભાવનગર જિલ્લાના તમામ તાલુકા એટલે કે 10 તાલુકા અને એક સીટી તાલુકા એમ 11 તાલુકામાં સમાવિષ્ટ 699
ગામોમાં સતત વરસાદના કારણે તમામ પાકોમાં નુકસાની અંગેની રજૂઆત મળી હતી.
ભાવનગર જિલ્લાની પાક પદ્ધતિ જોઈએ તો જિલ્લાના ચોમાસુ સિઝનના કુલ વાવેતર પૈકી 80% જેટલું વાવેતર
કપાસ અને મગફળી ધરાવે છે, આમ કપાસ અને મગફળીના પાકમાં મોટું નુકસાન જોવા મળ્યું હતું.
પાક નુકસાનીના આકલન અને પંચ રોજકામ સર્વે કામગીરી માટે જિલ્લાના તમામ ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર
દ્વારા ગ્રામસેવક ખેતી, તલાટી કમ મંત્રી અને અન્ય સ્થાનિક કર્મચારીઓ સાથેની ટીમની રચના કરી યુદ્ધના ધોરણે
કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ ટીમો દ્વારા તમામ ગામની મુલાકાત લઇ ગામના સરપંચશ્રી અને ગામના ખેડૂત આગેવાનો સાથે નુકસાનગ્રસ્ત
વિસ્તારની મુલાકાત કરી પંચરોજકામ કામગીરી કરવામાં આવી છે. આજે તારીખ 2 નવેમ્બરની સાંજ સુધીમાં 550 થી
વધારે ગામોમાં પંચરોજકામ સહિતની કામગીરી પૂર્ણ કરીને જિલ્લા કક્ષાએ રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. બાકી રહેતા
ગામોમાં કામગીરી શરૂ છે અને આવતીકાલે વહેલી સવારથી આ કામગીરી શરૂ કરી બપોર સુધીમાં જિલ્લાના તમામ
ગામોની કામગીરી પૂર્ણ કરાવવાનું આયોજન છે.
આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએથી પંચરોજકામ આધારે ગામ વાર પાક વાર વાવેતર વિસ્તાર સામે નુકસાનગ્રસ્ત વિસ્તાર
સહિતની વિગતો મળી રહે તે માટે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમની રચના કરવામાં આવી છે.
આવતીકાલ સાંજ સુધીમાં જિલ્લાના તમામ ગામોનો અહેવાલ તૈયાર કરી સબમીટ કરવામાં આવશે તેમ જિલ્લા
ખેતીવાડી અધિકારીશ્રીએ જણાવ્યું છે.



















Recent Comments