ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્મજયંતી સાથે ‘સુશાસન દિવસ‘ નિમિત્તે દેશવ્યાપી ઉજવણી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ભારત આ ઉજવણીમાં જોડાઈ રહ્યું છે. શ્રી અટલજીએ હંમેશા સુશાસન (Good Governance) સાથે સંપૂર્ણ સ્વચ્છતાને પ્રાધાન્ય આપ્યું હતું. ગ્રામીણ વિસ્તારોમાં શૌચાલય અને સ્વચ્છતા માટે ‘નિર્મળ ગ્રામ પુરસ્કાર‘ જેવી યોજનાઓનો તેમણે પાયો નાંખ્યો હતો. તેમનો વિચાર હતો કે, ‘જ્યાં સુધી ગામડું ગંદકીમુક્ત નહીં થાય, ત્યાં સુધી તે રોગમુક્ત અને પ્રગતિશીલ નહીં બની શકે”.
અમરેલી જિલ્લો વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે. ‘અંત્યોદય‘ અને ‘સુશાસન‘ના મંત્રને ચરિતાર્થ કરતા, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે.
પૂર્વ વડાપ્રધાન શ્રી અટલજીએ હંમેશા મજબૂત ગ્રામીણ માળખાનું સ્વપ્ન જોયું હતું. આ સ્વપ્નને સાકાર કરવા માટે જિલ્લામાં નિર્મળ ગુજરાત ૨.૦ હેઠળ નગરપાલિકા વિસ્તારના ૧૫૬ ગામોમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શનનું સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.
ગ્રામ્ય કક્ષાએ PURA (Provision of Urban Amenities in Rural Areas) મોડેલને કેન્દ્રમાં રાખી સુવ્યવસ્થિત રીતે ડોર-ટુ-ડોર કચરાનું કલેક્શન કરવામાં આવી રહ્યું છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાન માત્ર ઘન કચરાનું ડોર-ટુ-ડોર વૈજ્ઞાનિક ઢબે કલેક્શન અને વ્યવસ્થાપન સુધી જ મર્યાદિત નથી! પરંતુ અમરેલીમાં તેનું મિશન મંગલમ યોજના સાથે પણ જોડાણ છે. મિશન મંગલમની બહેનોએ કચરાના ઢગલામાં રોજગાર અને આર્થિક ઉન્નતિને શોધી છે!
જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાએ જણાવ્યું કે, હાલમાં જિલ્લામાં કુલ ૦૮ નગરપાલિકાના શહેરી હદ વિસ્તારથી ૧૦ કિ.મી. ત્રિજ્યામાં સમાવિષ્ટ ગામડાઓમાં રહેણાંક તથા બિન-રહેણાંક મિલ્કતોમાંથી દરરોજ નિયમિત રીતે ઘન કચરાનું કલેક્શન કરવામાં આવે છે. આ નવતર અભિગમ થકી ગામડાઓ સ્વચ્છ બનશે. વધુમાં ઉમેર્યું કે, પ્લાસ્ટિક વેસ્ટ સહિતનો કચરો એકત્ર કરી, તેના વેચાણ દ્વારા ૩૫ મહિલા સ્વસહાય જૂથ માસિક રૂ.૪ હજાર (પ્રતિ સેલ્ફ હેલ્પ ગૃપ) સુધીની આવક મેળવે છે. મહત્વનું છે કે, નારી શક્તિનો આ નવો રાહ તેમને આત્મનિર્ભર બનાવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા વર્ષ ૨૦૦૩માં PURA (Provision of Urban Amenities in Rural Areas) મોડેલનો વિચાર વહેતો મુકવામાં આવ્યો હતો. આ મોડેલનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં પણ શહેર જેવી જ સુવિધાઓ પૂરી પાડીને ગ્રામીણ અર્થતંત્ર અને જીવનધોરણને સશક્ત બનાવવાનો છે. અમરેલી જિલ્લામાં ગ્રામ્યકક્ષાએ સુવ્યવસ્થિત રીતે કચરાના કલેક્શનની વ્યવસ્થા થકી ‘સશક્ત ગ્રામીણ વિકાસ’ના સ્વપ્નને નવી ઉડાન મળશે.
નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત જિલ્લાના કુંકાવાવ તાલુકાના વડીયા અને કુંકાવાવ મોટી ગ્રામ પંચાયત ખાતે અંદાજે રૂ. ૨૫-૨૫ લાખના ખર્ચે અથવા આ રકમની મર્યાદામાં ‘સામૂહિક સ્માર્ટ શૌચાલય’નું નિર્માણ કરવામાં આવશે. જેને સૈધ્ધાંતિક મંજૂરી પણ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન શ્રી અટલજી કહેતાં કે, “ભારત એ જમીનનો ટુકડો નથી, પણ એક જીવંત રાષ્ટ્રપુરુષ છે.” તેમના માટે વિકસિત ભારતનો અર્થ હતો કે, જ્યાં ગામડાનો સામાન્ય નાગરિક પણ સ્વચ્છ વાતાવરણ, પાકા રસ્તા અને આધુનિક સુવિધાઓનો લાભ મેળવી શકે છે. આવો, સૌ સ્વચ્છાગ્રહી બનીને સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બની દેશના એક જવાબદાર નાગરિક તરીકે આપણું સહિયારું યોગદાન આપીએ.


















Recent Comments