તા. 14 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 8:30 થી 11:00 વાગ્યા સુધી શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ, રાળગોન ખાતે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ સાથે ભવ્ય ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં સંસ્કાર, માતા-પિતા પ્રત્યે આદરભાવ અને કૃતજ્ઞતા વિકસે તે હેતુથી કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું તિલક, પુષ્પ અને આરતીથી પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પવિત્ર પ્રસંગે લાગણીસભર દ્રશ્યો ઊભા થયા હતા અને અનેક વાલીઓ તથા વિદ્યાર્થીઓ ભાવવિભોર બન્યા હતા.
વિદ્યાર્થીઓ દ્વારા ગીતો, વક્તવ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. આ અવસરે શાળાના સંચાલકશ્રી તથા પ્રધાનાચાર્યશ્રીએ માતા-પિતાના ત્યાગ અને જીવનમાં તેમના અમૂલ્ય સ્થાન વિષે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં પધારેલા માનનીય મહેમાનશ્રીએ પણ પ્રસંગોચિત ઉદ્બોધન આપીને માતા-પિતાના આશીર્વાદને જીવનની સૌથી મોટી સંપત્તિ ગણાવી અને વિદ્યાર્થીઓને સંસ્કારમય જીવન જીવવા પ્રેરણા આપી હતી.
કાર્યક્રમ અંતે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને વાલીઓના હસ્તે ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત વાલીઓએ શાળાના આ સંસ્કારમય પ્રયાસની પ્રશંસા કરી હતી.
સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર, ભાવનાત્મક વાતાવરણમાં અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.


















Recent Comments