ભાવનગર

રાજસ્થાન અને ગુજરાતમાં અકાળે મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

 બે દિવસ પહેલા રાજસ્થાનના ભીવાડી ખાતે કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતાં ૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ભીવાડી રાજસ્થાન ખાતે એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત સર્જાયો હતો અને તે પછી ત્યાં આગ લાગી હતી જેમાં ૮ લોકો માર્યા ગયા હતા. અકાળે અવસાન પામેલા સૌ બિહારના વતની હોવાની વિગતો જાણવા મળી છે. અવસાન પામેલા સૌને પૂજ્ય મોરારીબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૨૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા બિહાર મુખ્ય પ્રધાન રાહત ફંડ માં પહોંચાડવામાં આવશે. 

            શિવરાત્રીના પર્વ પ્રસંગે જૂનાગઢથી પરત ફરી રહેલા યાત્રીઓને જેતપુર નજીક અકસ્માત નડયો હતો અને તે ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજયા હતા ત્યારે પૂજય બાપુએ તેમને પણ સહાયતા રાશિ અર્પણ કરી છે. જે મુખ્યમંત્રી રાહત ફંડ માં જમા કરાવવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. તેમ તલગાજરડાથી જયદેવ માંકડની યાદીમાં જણાવ્યું છે.

Related Posts