તા. ૨૬ ફેબ્રુઆરીથી અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષાઓનો પ્રારંભ થશે. બોર્ડની પરીક્ષાની પૂર્વ સંધ્યાએ અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે તમામ વિદ્યાર્થી મિત્રોને જિલ્લા પ્રશાસન તરફથી શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે વિદ્યાર્થીઓને ભય રાખ્યા વગર આત્મવિશ્વાસ એકાગ્રતા સાથે પરીક્ષા આપવા માટે સૂચન કર્યુ છે.
તેમણે જણાવ્યું કે, પરીક્ષા જીવનનો એક મહત્વપૂર્ણ પડાવ છે, પરંતુ તે આપણા જીવનનું અંતિમ લક્ષ્ય નથી. આ પરીક્ષા વિદ્યાર્થીઓના જ્ઞાન, મહેનત અને સંકલ્પનું પ્રતિબિંબ છે. તેથી કોઈપણ પ્રકારનો તણાવ કે ભય રાખ્યા વગર આત્મવિશ્વાસ, એકાગ્રતા અને શાંતિ સાથે પરીક્ષા આપવી.
તેમણે ઉમેર્યું કે, ‘મને વિશ્વાસ છે કે, વિદ્યાર્થીઓએ વર્ષભર જે મહેનત કરી છે, તેનું ઉત્તમ પરિણામ જરૂર મળશે. નિયમિત અભ્યાસ, સકારાત્મક વિચાર અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપો તેવી શુભકામના પાઠવું છું
જિલ્લા વહીવટીતંત્રની વ્યવસ્થાઓ અંગે માહિતી આપતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી–માર્ચ 2026 દરમ્યાન લેવાતી જાહેર પરીક્ષાઓમાં અમરેલી જિલ્લામાંથી ધોરણ ૧૦ (SSC) ના કુલ ૧૯,૫૬૭ તથા ધોરણ ૧૨ (HSC) ના કુલ ૧૨,૧૦૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાઓ સુચારુ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.‘

















Recent Comments