• ૫ એપ્રિલથી તબક્કાવાર ઉમેદવારોની જાહેરાત કરાશે : શ્રી અમિત ચાવડા
• સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કમિશન કમલમ ને કૌભાંડ ના શાસનને ઉખાડી ફેંકીશું. : અમિત ચાવડા
• સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૫૦ ટકા ઉમેદવારો યુવાનો હશે : શ્રી અમિત ચાવડા
• ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે : શ્રી અમિત ચાવડા
રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા ઘણા લાંબા સમયથી તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા અને ત્યારપછી ગુજરાતમાં જનઆક્રોશ યાત્રાના માધ્યમથી લોકો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કર્યો હતો. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો ઉઘાડી લૂટ મચાવી છે. પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા લૂંટી રહ્યા છે અને ચારે બાજુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તમામ વર્ગ વિસ્તારના લોકો સરકારને બદલવા માટે તૈયાર છે.
શ્રી અમિત ચાવડાએ વધુમાં કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પ્રદેશના નિરીક્ષકો તાલુકાવાર મુલાકાતે ગયા હતા. ત્યાં સંભવિત ઉમેદવારોને ધ્યાનપૂર્વક સાંભળ્યા, કાર્યકરો સાથે સંવાદ કર્યો અને તમામ સ્તરે સંકલન કરવામાં આવ્યું. જિલ્લા કોંગ્રેસ સમિતિઓ દ્વારા રચાયેલી ચૂંટણી સમિતિઓએ પણ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. હવે આ સમગ્ર પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવા માટે ચાર તારીખથી પ્રદેશ સ્તરે બેઠકની શરૂઆત થશે.પ્રભારી શ્રીઓની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયાને આખરી સ્વરૂપ આપવામાં આવશે. ત્યારબાદ પાંચમી તારીખથી તબક્કાવાર રીતે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.સર્વપ્રથમ મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર રીતે સમગ્ર ગુજરાતમાં લગભગ દસ હજાર જેટલી બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે, ઉમેદવારની પસંદગીમાં જિલ્લા ચૂંટણી સમિતિને પ્રાથમિકતા આપવામાં આવશે. શહેર અને જિલ્લા સ્તરે બનેલી ચૂંટણી સમિતિઓ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોને પ્રદેશ સમિતિ દ્વારા અંતિમ સંમતિ આપવામાં આવશે.પચાસ ટકા કરતાં વધારે બેઠકો પર યુવાનોને તક આપવામાં આવશે.સમાજના પ્રશ્નો માટે અવાજ ઉઠાવનાર, લોકોના હક્ક અને અધિકાર માટે લડનાર,પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને બચાવવા માંગે છે, એવા લોકો કોંગ્રેસ પાર્ટી માટે પ્રથમ પસંદગી રહેશે.સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટી સમગ્ર તાકાત સાથે લોકો વચ્ચે જશે, લોકોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને લડત લડશે અને જનતાના આશીર્વાદ સાથે વિજય મેળવવાનો સંકલ્પ કરશે.
દરેક જિલ્લા કક્ષાએ મજબૂત લીગલ ટીમો પણ સક્રિય કરવામાં આવી છે. સામ,દામ, દંડ,અને ભેદની નીતિ અપનાવીને ઉમેદવારોને દબાણમાં મૂકવાના, ઉમેદવારી ફોર્મ રદ કરાવવાના, ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવવાના, તેમજ ડરાવવાના અને ધમકાવવાના પ્રયત્નો થતા રહે છે. પરંતુ આ વખતે કોંગ્રેસ પાર્ટી આ પ્રકારના તમામ પ્રયત્નોનો મક્કમપણે સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.દરેક જિલ્લામાં ટીમોએ પૂર્વ તૈયારી કરી લીધી છે. લીગલ ટીમો પણ સજ્જ છે જેથી કોઈપણ ઉમેદવાર સાથે અયોગ્યતા કે અન્યાય થાય તો તરત જ કાનૂની રીતે કાર્યવાહી કરી શકાય.આ વખતે કોંગ્રેસ પાર્ટીની આખી ટીમ પૂરી તાકાત સાથે ચૂંટણી લડવા માટે તૈયાર છે.












Recent Comments