ભાવનગર

દીકરીઓને શિક્ષણ ફી માફી સાથે કાર્યરત શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

સ્કૂલમાં પ્રવેશ લેનાર KG થી ધોરણ 12 ની દીકરીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે 

કુંઢેલી તા.4

શિક્ષણની સાથે દીકરીઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક સરાહનીય પહેલ શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર તા. તળાજા દ્વારા કરવામાં આવી છે. વિદ્યાલય દ્વારા KG થી ધોરણ 12 સુધીની બહેનોને સંપૂર્ણપણે વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે.

આ પહેલને આગળ વધારતા, વિદ્યાલયના આચાર્ય શ્રી ગિરીશભાઈ કામળિયા ના માર્ગદર્શન હેઠળ ધોરણ 11 માં અભ્યાસ કરતી દીકરીઓ માટે બ્યુટીપાર્લરની વ્યાવસાયિક તાલીમનું આયોજન કર્યું હતું. આ તાલીમનો ઉદ્દેશ્ય દીકરીઓને શૈક્ષણિક જ્ઞાનની સાથે એક વ્યવહારુ કૌશલ્ય શીખવીને તેમને ભવિષ્યમાં સ્વરોજગારી માટે સક્ષમ બનાવવાનો છે.

તાલીમના ભાગરૂપે દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને એકબીજાના હાથમાં વિવિધ પ્રકારની આકર્ષક મેહંદી મૂકીને પોતાની કળાનું પ્રદર્શન કર્યું. ગોળાકારમાં ગોઠવાઈને પોતાના મેહંદીથી રંગાયેલા હાથ બતાવતી દીકરીઓની તસવીરો એકતા અને કૌશલ્યનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. ફૂલ, વેલ, મંડળા અને આધુનિક ડિઝાઇનો દ્વારા દીકરીઓએ પોતાની સર્જનાત્મકતા ઉજાગર કરી.

આ અંગે વાત કરતા આચાર્ય શ્રી ગિરીશભાઈ કામળિયાએ જણાવ્યું હતું કે, “અમારો પ્રયાસ માત્ર પુસ્તકિયું જ્ઞાન આપવાનો નથી. અમે ઇચ્છીએ છીએ કે અમારી દીકરીઓ ભણી-ગણીને પગભર થાય. બ્યુટીપાર્લર કોર્સ જેવી તાલીમથી તેઓ ઘરે બેઠા પણ આવક મેળવી શકશે અને આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધશે.”

વાલીઓએ પણ શાળાના આ પ્રયાસને બિરદાવ્યો હતો. આ પ્રકારની પહેલ ગ્રામ્ય વિસ્તારની દીકરીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે અને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ ના સૂત્રને સાર્થક કરશે.

Related Posts