વિશ્વ પર્યાવરણ દિવસ-2026 ની ઉજવણી અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા નગરપાલિકા હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તથા ચીફ ઓફિસર શ્રી વી.સી. રાઠોડની ઉપસ્થિતિમાં નગરપાલિકાના સભ્યશ્રીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ એનજીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી બીપીનભાઈ જોશી તથા શ્રીમતી અક્ષતાબેન કાલે દ્વારા પર્યાવરણ સંરક્ષણ, જળવાયુ પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ), કુદરતી સંસાધનોના સંવર્ધન અને નાગરિકોની જવાબદારી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વર્તમાન સમયમાં પર્યાવરણ સામે ઊભા થયેલા પડકારો તથા તેના નિવારણ માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ ઉપરાંત ઘન કચરા વ્યવસ્થાપન અંતર્ગત સોર્સ સેગ્રેગેશન (ઘરેથી જ કચરાનું અલગકરણ) ના મહત્વ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કચરા વ્યવસ્થાપનમાં આવતી સમસ્યાઓ, તેના ઉકેલો તથા અમરેલી શહેરમાં પર્યાવરણ સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે ઉપસ્થિત સભ્યો દ્વારા વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ચીફ ઓફિસર શ્રી વી.સી. રાઠોડ દ્વારા પર્યાવરણ જાળવણી, સ્વચ્છતા અને હરિયાળા શહેરના નિર્માણ માટે નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી તેમજ સૌને પર્યાવરણ પ્રત્યે વધુ જવાબદાર બનવા અપીલ કરવામાં આવી હતી.
ત્યારબાદ વીર મનીષ મહેતા પાર્ક ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મહાનુભાવો, પદાધિકારીઓ, સભ્યશ્રીઓ, કર્મચારીઓ તથા એનજીઓના પ્રતિનિધિઓ દ્વારા વૃક્ષારોપણ કરી હરિત અને સ્વચ્છ અમરેલીના નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અમરેલી નગરપાલિકા દ્વારા આયોજિત વિશ્વ પર્યાવરણ દિવસ-2026 ની ઉજવણીનો કાર્યક્રમ પર્યાવરણ જાગૃતિ અને પર્યાવરણ સંરક્ષણના સંદેશને વધુ વ્યાપક બનાવવા માટે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.



















Recent Comments