મહેનત તણી સુગંધથી
આંગણું મહેંકી ગયું,
સફળતાના આ શિખરે
નામ ગુંજી ગયું.
ભાઈ-બહેનની સિદ્ધિએ વધાર્યું છે કુળનું માન,
આજે વિંઝુડા પરિવારનું હૈયું ગજગજ ફૂલી ગયું.
–“પાંધી સર”
તાજેતરમાં સાવરકુંડલા ખાતે વિંઝુડા પરિવારના આંગણે હર્ષ અને ગૌરવનો પ્રસંગ ઉજવાયો હતો. રામાપીર મંદિરના મહંત શ્રી અરવિંદબાપુના સાનિધ્યમાં પ્રવીણભાઈ માયાભાઈ વિંઝુડાના પુત્ર અંકિતભાઈ અને પુત્રી કિરણબેનનો સન્માન સમારોહ યોજાયો હતો.
અંકિતભાઈ વિંઝુડાએ ટૂંકા ગાળામાં બેવડી સફળતા પ્રાપ્ત કરી છે. ચાર મહિના પહેલા જ તેમની નિમણૂંક રાજ્ય સરકારમાં જુનિયર ક્લાર્ક તરીકે થઈ હતી, ત્યારબાદ તુરંત જ તેમની પસંદગી ‘બેંક ઓફ બરોડા’ માં લોકલ બેંક ઓફિસર તરીકે માણાવદર મુકામે થતા પરિવારનું ગૌરવ વધ્યું છે. આ પ્રસંગે મહંત શ્રી અરવિંદબાપુ અને ભજન મંડળ દ્વારા તેમને શાલ, ફૂલહાર અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સાથે જ, પ્રવીણભાઈની પુત્રી કિરણબેને પણ ટેટ-૧ (TET-1) ની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી પ્રાથમિક શિક્ષક તરીકે નિમણૂંક મેળવી છે. આ સિદ્ધિ બદલ મહંત શ્રીના ધર્મપત્ની શ્રી લાભુબેન અને સખી મંડળની બહેનો દ્વારા તેમનું પણ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભીખાભાઈ વિંઝુડા તરફથી કિરણબેનને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા.
આ કાર્યક્રમમાં હાથસણી રોડ પર આવેલ રામદેવપીર મંદિરના સત્સંગીઓ, કલાકારો અને વિંઝુડા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં પ્રવીણભાઈ વિંઝુડાએ ઉપસ્થિત સર્વે મહેમાનો અને સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો.


















Recent Comments