ગુજરાત

આણંદ ખાતે યોજાયેલ તિરંગા યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બન્યા સહભાગી

દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં “હર ઘર તિરંગા” અભિયાન ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે, જે અંતર્ગત આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય અને અવિસ્મરણીય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વલ્લભ વિદ્યાનગરના ઐતિહાસિક શાસ્ત્રી મેદાનથી શરૂ થયેલી આ વિશાળ તિરંગા યાત્રામાં ૧૦ હજારથી વધુ ઉત્સાહી અને દેશપ્રેમી નગરજનો, યુવાઓની સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીમંડળના સભ્યો હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા હતા. વિદ્યાનગર રોડ પર ઉમટી પડેલા જનમેદનીના ઉત્સાહથી સમગ્ર આણંદ શહેર દેશભક્તિના અનન્ય રંગે રંગાઈ ગયું હતું.

આ ભવ્ય તિરંગા યાત્રાને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી સર્વશ્રી રમણભાઈ સોલંકી, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી સંજય સિંહ મહિડા, સાંસદશ્રી મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ, શ્રી ચિરાગભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ પરમાર, અગ્રણી શ્રી સંજયભાઈ પટેલએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવી હતી.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ દેશભક્તિના આ મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં સહભાગી બનવા બદલ આણંદ જિલ્લાના નગરજનોને બિરદાવીને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી હતી.

આ તિરંગા યાત્રા વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતેથી શરૂ થઈ હતી અને વિદ્યાનગર શહીદ ચોક, ભાઈ કાકા સ્ટેચ્યુ થઈને વિદ્યાનગર રોડ ઉપરથી પસાર થઈ આણંદ ટાઉનહોલ ખાતે પૂર્ણ થઈ હતી. આ તિરંગા યાત્રામાં 10 હજારથી વધુ લોકો ઉમંગભેર જોડાયા હતા. તિરંગા યાત્રાના સમગ્ર રૂટ પર દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

આણંદ વિદ્યાનગર રોડ સ્વાતંત્ર્ય પર્વની તિરંગા રેલી યોજવાથી ભક્તિમય બન્યો હતો અને વાતાવરણ તિરંગા મય બન્યું હતું. વિદ્યાર્થીઓ વિશેષ વેશભૂષામાં તૈયાર થઈને આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વિદ્યાનગર રોડની બંને બાજુ આવેલ બિલ્ડીંગો ઉપર રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિદ્યાનગર રોડ ઉપરના તમામ થાંભલાઓ ઉપર સિરીઝ લગાવવામાં આવી અને સુશોભન માટે લાઇટો લગાવવામાં આવી હોવાથી આણંદ વિદ્યાનગર દેશભક્તિના રંગે રંગાયું હતું. આ નયનરમ્ય શણગાર અને રાષ્ટ્રધ્વજની ભવ્યતાને કારણે આણંદ-વિદ્યાનગર રોડ આખોય તિરંગામય બની ગયો હતો અને નાગરિકોમાં અભૂતપૂર્વ રાષ્ટ્રીય ચેતનાનો સંચાર થયો હતો.

કાર્યક્રમના પ્રારંભે વિદ્યાર્થીઓએ વિશેષ વેશભૂષામાં દેશભક્તિ ઉપર પોતાનું નૃત્ય રજૂ કર્યું હતું.

હર ઘર તિરંગા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

તિરંગા રેલીની શરૂઆતમાં બાઇક સવાર પોલીસમેન તિરંગા ઝંડા સાથે, ઘોડા પોલીસ, પોલીસ બેન્ડ, રમતવીરો યુવાઓ, એનસીસીના વિદ્યાર્થીઓ, એનસીસી ગુજરાત બટાલિયન, એનસીસી ગર્લ્સ બટાલિયન, રમતવીરો, પોલીસના વીર જવાનો, હોમગાર્ડ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ, ટીઆરબી જવાનો, ગ્રામ રક્ષક દળના જવાનો, વિવિધ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

તમામ ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ પદ-પ્રતિષ્ઠા ભૂલીને સામાન્ય નાગરિકની જેમ તિરંગા સાથે પદયાત્રા કરી હતી.

રાષ્ટ્રપ્રેમ, એકતા અને ભાઈચારાના પ્રતિક સમી આ તિરંગા યાત્રાએ આણંદના ઇતિહાસમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. વિદ્યાર્થીઓથી લઈને વડીલો સુધીના તમામ વર્ગોના લોકોએ હાથમાં તિરંગો લહેરાવી “ભારત માતા કી જય” અને “વંદે માતરમ્”ના ગગનભેદી નારાઓ પોકારી સમગ્ર વાતાવરણને ગુંજવી મૂક્યું હતું. આ યાત્રા માત્ર એક કાર્યક્રમ ન રહેતાં આણંદના જન-જનના હૃદયમાં દેશપ્રેમની જ્યોત વધુ પ્રજ્વલિત કરવાનું એક નિમિત્ત બની રહી હતી.

આ તિરંગા રેલી વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતેથી શરૂ થઈ હતી જે આણંદના ટાઉન હોલ ખાતે પૂર્ણ થઈ હતી જેમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રી દીપિકાબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી કમલેશભાઈ ડાભી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મયુરભાઈ સુથાર, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર શ્રી આર. એન. ડોડીયા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી,પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર શ્રી રાહુલ ગમારા, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી નિરંજનભાઇ પટેલ, પ્રાંત અધિકારીશ્રી સન્ની પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એસ.કે ગરવાલ અને શ્રી સંગાડા, મામલતદાર શ્રી સહિત અધિકારીઓ, કર્મચારીઓ, અગ્રણીઓ સહિત વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર હાથમાં ત્રિરંગો લઈને જોડાયા હતા.

Related Posts