ગુજરાત

સાવરકુંડલા રોડ સ્થિત અમરેલી નગરપાલિકા સંચાલિત શેલ્ટર હાઉસ પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થવા અમરેલી આવી પહોંચ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ સાવરકુંડલા રોડ સ્થિત અમરેલી નગરપાલિકા સંચાલિત શેલ્ટર હાઉસ પટાંગણમાં વૃક્ષારોપણ કરીને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર સાથે પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ પ્રસરાવ્યો હતો. આ તકે જિલ્લા પ્રભારી અને કેબિનેટ કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

ઉલ્લેખનીય છે કે, અમરેલી શહેરને હરિયાળું અને સ્વચ્છ બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે અમરેલી નગરપાલિકા દ્વારા ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન યોજના અંતર્ગત ફાળવવામાં આવેલ રૂ. ૪.૦૦ કરોડની માતબર ગ્રાન્ટના ખર્ચે વૃક્ષારોપણ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

શેલ્ટર હાઉસ પટાંગણથી શરૂ કરાયેલા આ પર્યાવરણીય પ્રકલ્પ હેઠળ શહેરમાં આધુનિક ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવશે તેમજ વિવિધ મુખ્ય માર્ગોની બંને સાઇડમાં ૧૩ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરીને “ગ્રીન અમરેલી, ક્લિન અમરેલી”ની નેમને સાચા અર્થમાં સાકાર કરવામાં આવશે, જે આગામી સમયમાં સમગ્ર અમરેલી પંથક માટે એક ગ્રીન લંગ્સ (ફેફસાં) સમાન સાબિત થઈ ‘હરિયાળા શહેર’ના સ્વપ્નને સિદ્ધ કરશે.

વૃક્ષારોપણ પૂર્વે અમરેલી નગરપાલિકાના હોદ્દેદારો અને સ્થાનિક અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીનું મોમેન્ટો અને શાલ અર્પણ કરીને સ્વાગત કર્યું હતું.

આ હરિયાળા અભિયાનના પ્રારંભ પ્રસંગે સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા, ઉપપ્રમુખ શ્રી વિરલભાઈ પોપટ, નગરપાલિકા કારોબારી ચેરમેન શ્રી મૌલિક ઉપાધ્યાય, અમરેલી જિલ્લા આગેવાન શ્રી અતુલ કાનાણી, એ.પી.એમ.સી. અમરેલીના પૂર્વ ચેરમેન શ્રી પી.પી. સોજીત્રા, નગરપાલિકાના સભ્યશ્રીઓ, જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.જે.પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, સામાજિક અગ્રણીશ્રીઓ, શહેરના હોદ્દેદારો, નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર શ્રી સુનિલ, અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી વી.સી.રાઠોડ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

Related Posts